ડો.અતુલ ચગના પરિવાર અને સાંસદ ચુડાસમા વચ્ચે સમાધાન ? ચકચારી આપઘાત કેસમાં નવો વળાંક
- આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થયાની ચર્ચા, ડો.ચગના પરિવારે કહ્યું અમને ખબર નથી
ગીર સોમનાથના સેવાભાવી તબીબ ડો.અતુલ ચગના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ડો.અતુલ ચગના પરિવાર અને રાજેસ ચુડાસમા વચ્ચે સમાધાન થઇ ગયું છે. ડો.અતુલ ચગે આત્મહત્યા કરી ત્યારબાદ એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમના મોત માટે રાજેસ ચુડાસમા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં રાજેસ ચુડાસમા અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઇ હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ છેલ્લા ઘણાં સમયથી સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા. અંતે ડો.અતુલ ચગના પરિવારજનો,લોહાણા સમાજના અગ્રણીઓ અને ભાજપના આગેવાનોની મધ્યસ્થીથી રાજેસ ચુડાસમા અને ડો.અતુલ ચગના પરિવારજનો વચ્ચે સમાધાન થયાનું સામે આવ્યું છે. તેવું ટીવી-9નો અહેવાલ જણાવે છે.જુનાગઢ લોકસભા સીટ માટે રાજેસ ચુડાસમા એક મજબૂત દાવેદાર છે. રાજેસ ચુડાસમા કોળી સમાજના આગેવાન છે. પરંતુ ડો.અતુલ ચગના આપઘાત કેસ બાદ તેઓ સામે આક્ષેપો થયા હતા. જેના પગલે ફરિયાદ પણ નોંધાઇ હતી. આ વિવાદ તેઓને લોકસભાની ચૂંટણી માટે અસર કરી શકે તેમ હતો જો કે હવે ચગ પરિવાર સાથે સમાધાન થઇ જતા તેઓનો લોકસભાની ચૂંટણીનો માર્ગ ખુલ્લો થઇ શકે છે.
ટીવી-9ના અહેવાલ મુજબ, ડો.અતુલ ચગ પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતુ કે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થઇ ગયું છે. હવે બંન્ને પક્ષના વકીલોની સલાહ પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિવાદ પૂર્ણ થશે.હાલમાં બંન્ને પક્ષો અને વડિલોની મધ્યસ્થીથી આ વિવાદ પૂર્ણ થયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, વેરાવળના ડો.અતુલ ચગના આપઘાત બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોહાણા સમાજે આંદોલન ચલાવ્યું હતું અને હાલ પણ આ બાબતે કાનુની લડાઈ ચાલી રહી છે. સાંસદ વિમલ-ચુડાસમાના પિતાજી નારણભાઈ ચુડાસમાએ આગેતરા જામીન અરજી કરી છે. તેનું આજે જ હાઈકોર્ટમાં તેની સુનાવણી હોવાનું જાણવા મળેલ છે.ડો.ચગના પરિવારજનોનો સંપર્ક કરતાં તેમણે આવા કોઈ પણ સમાધાન અંગે અજાણતા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આજે હાઈકોર્ટમાં તારીખ હોવાથી અમે હાીખોર્ટમાં આવ્યા છીએ. સમાધાન અંગે અમને કોઈ ખબર નથી.