રાજકોટ-ઉના રૂટની ST બસ બંધ થઈ જતાં મુસાફરો હેરાન પરેશાન
રાજકોટ, કુંકાવાવ, બગસરા, ધારીના મુસાફરોને હેરાનગતિ : બસ ફરી શરૂ કરવા માંગ
રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ હટી જતાં એસ.ટી.તંત્રએ બંધ રૂટો ફરી શરૂ કરી બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. પણ ગોંડલ એસ.ટી.ડેપોની રાજકોટ ઉના રૂટની બસ હજુ ફરી શરૂ કરી ન હોવાથી આ બસનો કાયમી લાભ લેતા મુસાફરોમાં દેકારો બોલી ગયો છે. આ બસ ફરી નિયમિત ચાલુ કરવા મુસાફર આલમે માંગ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ એસ.ટી.ડેપોની રાજકોટ-ઉના વાયા કુંકાવા, બગસરા, ધારી રૂટની બસ વ્યાપક વરસાદને લીધે તંત્રએ બંધ કરી દીધી છે. પરંતુ વરસાદી માહોલ હળવો થતાં વિગતો મળી રહી છે કે એસ.ટી.તંત્રએ મોટાભાગનાં રૂટો ફરી શરૂ કરી દીધા છે. પણ આ વાતમાં રાજકોટ-ઉના રૂટની બસનો સમાવેશ ન થતો હોય તેમ આ બસ હજુ બંધ હોવાથી મુસાફરોમાં હેરાનગતિની ફરિયાદો ઉઠી છે.
મુસાફરો કહે છે કે રાજકોટથી આ બસ બપોરના 12.30 વાગ્યે ઉપડે છે અને કુંકાવાવ, બગસરા, ધારી વાયા થઈને ઉના સાંજે 6.30 થી 7 સુધીમાં પહોંચે છે. પરંતુ ઘણા સમયથી આ રૂટ બંધ હોવાની ફરિયાદ માટે ગોંડલ એસ.ટી.ડેપોમાં ફોન કરવામાં આવે ત્યારે કોઈ ફોન રીસીવ ન કરતાં હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. આ બસ ફરી શરૂ કરવા ઉપરોકત ગામ, શહેરોના મુસાફરોની માંગણી છે.