રાજકોટ એસ.ટી. ડિવિઝનને જન્માષ્ટમી નિમિત્તે ભારે વરસાદથી 35 લાખથી વધુનું નુકસાન
વરસાદી માહોલ ધીમો થતા દ્વારકા-ભુજને બાદ કરતા તમામ રૂટો પર બસ સેવા શરૂ: ડેપોમાં મુસાફરોની બહોળી હાજરી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર્ર-કચ્છમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ રહી છે. ત્યારે મેઘરાજાના આગમનથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ડીવીઝનને 4 દિવસમાં 30 થી 35 લાખનું નુકશાન થયાનું અંદાજ છે.રાજકોટ એસ.ટી. ડેપો દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિતે દર વર્ષે વધારાની બસો ચલાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિતે ભારે વરસાદ થતા અનેક રૂટો અને ટ્રીપો બંધ કરવામાં આવી હતી. જેને લીધે એસ.ટી. વિભાગને ભારે નુકશાન થયું હતું.
આજના દિવસે વરસાદ ધિમો થતા રાજકોટથી અમદાવાદ- સુરત- જામનગર- જુનાગઢ- ભાવનગર- અમરેલી- ગીર સોમનાથ- પોરબંદર તરફ એસ.ટી. ડેપો દ્વારા રૂટો પર બસો દોડાવવાનું એસ.ટી. વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જયારે દ્વારકા તથા ભુજ તેમજ ગામડાઓના રૂટો પર હજુ પણ બસ સેવાઓ બંધ રાખવામાં આવી છે. આજનાં દિવસે વરસાદનો માહોલ ધીમો થતા રાજકોટ એસ.ટી. ડેપોમાં બહોળી સંખ્યામાં મુસાફર જોવા મળ્યા હતા. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા આજનાં દિવસે અનેક રૂટો શરૂ કરાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જન્માષ્ટમી નિમિતે વરસાદી માહોલના અનેક રૂટો કેન્સલ કરાતા રાજકોટ એસ.ટી. વિભાગને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.