રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ, 1060 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 35 તાલુકામાં વરસાદ 1 ઈંચથી વધુ હતો. આ સથે જ ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં 4, ખેરગામમાં 4 ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા 3-3 ઈંચ, ઉમરપાડામાં 3, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી 2 ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા આજે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.