હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ લાખીનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 મે) અનેક જિલ્લામાં ગાજવીજ સથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે.
એક બાજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતના અનેક જિલ્લામાં તાપમાન 40 પાર જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાનની આગાહી અનુસાર રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાન 40 પાર જઈ શકે છે.