રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે
સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના તાપમાનનો પારો 40ને વટાવી ગયો છે. આ બધા વચ્ચે હવે તાપમાનમાં ઘટાડો થવાની અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગાજવીજ અને તોફાની પવન સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ,દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે.
ચોમાસાની આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું મોટાભાગે 1966 જેવું રહી શકે છે. જો કે અત્યારે ગરમી વધારે પડી રહી હોવાથી, ચોમાસું 1997 જેવું રહે તો નવાઈ નહીં. એટલે કે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા નથી. ખાસ કરીને પાછોતરો વરસાદ વધારે પડી શકે છે.
આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાદ અલગ-અલગ 5 જિશામાં જઈ શકે છે. જો કે વાવાઝોડાની અસર કેવી રહેશે, તેનો ખ્યાલ તો તે સક્રિય થયા પછી જ આવશે.
આ વર્ષે ચોમાસું વહેલું આવશે. જેમાં આગામી 22 થી 27 મે વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં વરસાદ વધતો-ઓછો રહી શકે છે. જો કે ગંગા-જમનાના મેદાનો કેવા તપે છે, તેના પર ચોમાસાનો આધાર રહેશે.
હવામાન વિભાગની સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીમાં રાહત આપતી આગાહી કરી છે. 10થી 12 એપ્રિલ સુધીમાં તાપમાન ઘટી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. તો કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠામાં 37થી 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પવનનું જોર રહે તેવી સંભાવના છે.
આગામી 5 દિવસમાં ગરમીમાં ઘટાડો થાય અને મોટા ભાગના જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીની નીચે રહે તેવી આગાહી આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કરી છે. બંગાળની ખાડીમાં હળવા દબાણને કારણે વાતાવરણ પર અસર જોવા મળશે અને 5 દિવસ ગરમીથી રાહત મળશે. પરંતુ પરેશ ગોસ્વામીએ 15 એપ્રિલ પછી ફરી કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે.