For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પતિદેવના પરાક્રમોની સજા, મહિલા કોર્પોરેટરે ચેરમેનપદ ગુમાવ્યું

06:52 PM Mar 11, 2024 IST | Bhumika
પતિદેવના પરાક્રમોની સજા  મહિલા કોર્પોરેટરે ચેરમેનપદ ગુમાવ્યું
  • આવાસ કૌભાંડમાં પતિદેવોની સંડોવણી ખૂલતા વોર્ડ નં. 5 અને 6ના મહિલા કોર્પોરેટરોને ભાજપના કાર્યક્રમો અને કોર્પોરેશન કચેરીમાં નહીં દેખાવા સૂચના

લોકસભાની ચૂંટણી સમયે જ રાજકોટ મહાનગરપાલિકાના બે મહિલા કોર્પોરટરોના પતિદેવો દ્વારા ગરીબોને આપવાના 20 જેટલા આવાસો બારોબાર પોતાના નામે ગપચાવી લેવાના આચરાયેલ કૌભાંડનો ભાંડો ફૂટતા અંતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આકરા તેવર બતાવ્યા છે અને વોર્ડ નં. 6ના મહિલા કોર્પોરેટર પાસેથી સમિતિના ચેરમેન પદનું રાજીનામું લઈ લીધું હતું અને તપાસ સમિતિનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વોર્ડ નં. 5 અને 6ના કોર્પોરેટરોને ભાજપના કાર્યક્રમોમાં હાજર નહીં રહેવા તેમજ કોર્પોરેશન કચેરીમાં નહીં દેખાવા સુચના આપી દેતા ભાજપમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

Advertisement

બીજી તરફ આ આવાસ કૌભાંડની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનરે સ્પેશિયલ સીટી ઈજનેર અલ્પના મિત્રાના અધ્યક્ષ સ્થાને કમિટિની રચના કરી છે. અને આ આવાસ ફાળવણી કૌભાંડમાં કોર્પોરેશનના સ્ટાફની સંડોવણી છે કે કેમ તે અંગે સાંજ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસોની ફાળવણીમાં ગોલમાલ કરવી વોર્ડ નં. 6ના મહિલા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવના પતિ મનસુખભાઈ જાદવે પોતાના અલગ-અલગ નામે દસ જેટલા આવાસ મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો હતો.

Advertisement

આજ રીતે વોર્ડ નં. 5ના મહિલા કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતરના પતિ કવાભાઈ ગોલતરે પણ પોતાના જ નામોમાં કળા કરી દસ જેટલા આવાસો મેળવી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
ભાજપના બે મહિલા નગરસેવિકાઓના પતિદેવોએ આવાસ કૌભાંડ આચર્યાનું બહાર આવતા શહેરભાજપે કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવનું કાયદો અને નિયમો સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું હતું. આ ઉપરાંત બન્ને મહિલા કોર્પોરેટરો વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને તપાસ સમિતિનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકા કચેરીમાં તેમજ ભાજપના કાર્યક્રમોમાં નહીં દેખાવા સુચના આપી હતી.

તપાસ માટે કમિશનરે સમિતિની રચના કરી
કોર્પોરેશન દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા 20 જેટલા આવાસો બે મહિલા કોર્પોરેટરોના પતિદેવોના નામે ફાળવી દેવાતા કૌભાંડની તપાસ માટે મ્યુનિ. કમિશનરે સ્પેશિયલ સીટી ઈજનેર અલ્પના મિત્રાના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ આપવા સુચના આપી છે ત્યારે આ કૌભાંડમાં કોર્પોેશનના સ્ટાફની સંડોવણી પણ બહાર આવવાની પુરી શક્યતા છે. જાણકારોના મતે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓની સંડોવણી વગર આ કૌભાંડ શક્ય જ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement