‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકી
તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ’ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે. બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્યત્વે એક ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે: "હંમેશા બોલતા હું બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં."
આ અંગે પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને તેનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
આ વિરોધના ભાગરૂૂપે, જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ આવતીકાલે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવશે. પ્રમુખ એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે. તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રીપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે.
બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસ્તી દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે.