ફાયર NOCના મળે ત્યાં સુધી શાળાઓમાં મેળાવડા-કેન્ટીનની મનાઇ
ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર સિવાયના માળમાં છાત્રોને બેસાડી શકાશે નહીં
500 ચો.મી.થી વધુનો ફલોર એરિયા પણ શૈક્ષણિક કાર્ય માટે નહીં વાપરી શકાય
ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં ફટકાર બાદ શિક્ષણ સચિવનું સોગંદનામું
રાજકોટ ટીઆરપી ગેમઝોનની ભયાનક દુર્ઘટનામાં હાઇકોર્ટનાં સુઓમોટો હિયરીંગમાં શહેરી વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ સહીતના તંત્રએ પોતાના સોગંદનામા રજુ કર્યા છે અને રાજયમાં ફાયર એનઓસી બાબતે કોઇ ગફલત ચલાવી લેવામાં નહીં આવે તેવું જણાવ્યું છે. તા.2 ઓગસ્ટની સુનવણીમાં શિક્ષણ વિભાગના સચીવે સોગંદનામુ કરીને જણાવ્યું છે કે રાજયમાં તમામ શાળાઓમાં ફાયર પ્રિવેન્સન મુદે જરૂરી સુચનાઓ આપીને તેની અમલીવારી પણ ચાલુ કરાવી દીધી છે. આ સોગંદનામામાં જણાવાયું છે કે ફાયર એનઓસી વગરની શાળાઓમાં મોટા પ્રમાણમાં ભિડ એકઠી કરવાની મનાઇ કરી છે. આ ઉપરાંત બે કરતા વધુ માળ ધરાવતી શાળાઓને ફકત ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો જ શૈક્ષણીક કાર્ય માટે ઉપયોગ કરવાની સુચના આપી છે તથા શાળાની અંદર આગ લાગવાની શકયતા હોય પેન્ટ્રી કે કિચનની પણ મનાઇ ફરમાવવામાં આવી છે.
હાઇકોર્ટ દ્વારા રાજકોટ ટીઆરપી ગેમઝોન મુદ્દે થયેલ રિટ પીટીશનની સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારે જણાવ્યું છે કે રાજયની તમામ શાળાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે કોઇ બાંધછોડ ન કરવાની હોય ફાયર એનઓસી માટેની કામગીરીને પણ રિવ્યુ કરવાનું ચાલુ જ છે. મોટા ભાગની સ્કુલોએ ફાયર એનઓસી મેળવી લીધા છે. આ ઉપરાંત સરકાર દ્વારા એફીડેવીડમાં હાઇકોર્ટને જણાવાયું છે કે રાજયના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ વિભાગને લગતા વહીવટી અધિકારીઓને આગમચેતીના પગલા રૂપે ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી અમુક સુચનો આપવામાં આવ્યા છે. જેમાં બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો, જે શાળાનો ફલોર એરીયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય ત્યાં સુધી 500 ચો.મી.થી ઓછા ફલોર એરીયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો, શાળાના પરિસદમાં આવેલ પેન્ટ્રી- રસોઇઘર- કેન્ટીનનો શાળા સમય દરમ્યાન ઉપયોગ ન કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો સંબંધીત અધિકારીને જાણ કરી પાળી પ્રમાણે શાળા શરૂ કરવી, ઇલેકટ્રીસીટી પણ મંજુર થયેલ લોડ મુજબ વાપરવી જેવી સુચનાઓનો સમાવેશ થાય છે.
ઉપરની સુચના બાબતે સરકારના કમિશનર શાળાઓની કચેરી તરફથી તા.24-7ના રોજ દરેક જિલ્લામાં પરિપત્ર કરી દેવામાં આવ્યા હતા અને જેને અનુસંધાને જે તે જિલ્લા કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. આ પરિપત્રનું પાલન ન કરે અને સમય મર્યાદામાં ફાયર એનઓસી ન મેળવે તે શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે.