‘આપ’ના નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત છે, ટિકિટ પણ આપશું: તુષાર ચૌધરી
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે કોંગ્રેસની મિશન 2027ની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન તેઓ સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપવાની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસના વિપક્ષીનેતા તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે, આપના અનેક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ આ નેતાઓનું સ્વાગત કરવા અને ચૂંટણીમાં તેમને ઉમેદવારી આપવા પણ તૈયાર છે.
આપના નેતાઓને હવે સમજાયું છે કે આ પાર્ટીમાં તેમનું કોઈ ભવિષ્ય નથી અને જો તેમને રાજકારણ કરવું હોય તો કોંગ્રેસ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. હાલમાં જ કચ્છ, ગાંધીનગર અને અમદાવાદના આપના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, જે દર્શાવે છે કે આ ભંગાણની પ્રક્રિયા શરૂૂ થઈ ચૂકી છે.
રાહુલ ગાંધીની મુલાકાતનો મુખ્ય હેતુ મિશન 2027ની તૈયારીઓ માટે જિલ્લા પ્રમુખોને તાલીમ આપવાનો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 10 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામમાં રાહુલ ગાંધી એક દિવસ માટે હાજર રહેશે અને તેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ સાથે જ પ્રથમવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એક સાથે કરવામાં આવશે, જે પાર્ટીને સ્થાનિક સ્તરે વધુ મજબૂત બનાવવાની રણનીતિનો ભાગ છે.