ભરવાડ સમાજમાં શિક્ષણના વ્યાપને હવે પ્રાધાન્ય: ખંભાળિયામાં ભરવાડ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું ભૂમિ પૂજન
ભરવાડ સમાજમાં જ્ઞાતિ એકતા સાથે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી ખંભાળિયામાં ભરવાડ જ્ઞાતિની છાત્રાલયનો ભૂમિ પૂજન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. છાત્રાલયમાં રહી અને એક સાથે 250 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે હેતુથી શરૂ થનાર આ કુમાર છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર શ્રી સમસ્ત ભરવાડ જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ વિશાળ જમીન પર દાતાઓના આર્થિક સહયોગથી પિતાશ્રી હીરાભાઈ કડવાભાઈ સરસિયા ભરવાડ કુમાર છાત્રાલયનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આના અનુસંધાને આ સ્થળે એકસાથે 250 વિદ્યાર્થીઓ એકસાથે રહીને અભ્યાસ કરી શકે તે આશયથી દાતાઓના સહયોગથી સુવિધાસભર એવી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ કુમાર છાત્રાલયનો ભૂમિ પૂજન સમારોહમાં શ્રી નકલંક ધામ આશ્રમ તોરણીયા હરિદ્વારના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, આ સંસ્થાના મુખ્ય દાતા સુરતના ગોરધનભાઈ હીરાભાઈ સરસિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણજારીયા, પી.એસ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કશ્યપભાઈ ડેર, મૂળવાનાથની જગ્યા બેટ દ્વારકાના મહંત શ્રી બાલારામ બાપુ, દ્વારકાના કાનદાસ બાપુની જગ્યાના મહંત મુન્નાબાપુ, પરસોતમપરી બાપુ, વછરાજ ધામના ભુવા આતા શ્રી જગુઆતા, રાયપુર વીરા બાપાની જગ્યાના પૂજ્ય મહંત શ્રી હિપાબાપુ, સહિતના સંતો સાથે રાજકીય આગેવાનો અને સૌ ભરવાડ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કુમાર છાત્રાલય માટે દાતા ગોરધનભાઈ હીરાભાઈ સરસિયા દ્વારા રૂ. 51 લાખ, સાંસદ પૂનમબેન માડમ દ્વારા રૂ. 21 લાખ સહિતના દાતાઓનો નોંધપાત્ર આર્થિક સહયોગ સાંપડ્યો છે. આ ખાત મુહૂર્ત પ્રસંગે ધીરુભાઈ ટાકોદરા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના સુપુત્ર હર્ષદભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વતી કરસનભાઈ પીઠીયા, રઘુવંશી અગ્રણી વિનુભાઈ સોમૈયા સહિતના આગેવાનો, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોને સન્માનિત કરાયા હતા.આ આયોજન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજના આગેવાનો તથા ટ્રસ્ટીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.