કોર્પોરેશનમાં ભળેલા પાંચ ગામની નિમતાણાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત
રાજકોટ શહેરની ભાગોળેના વિસ્તારોમાં એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર, સ્માર્ટ સીટી પ્રોજેક્ટના કારણે જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે રોકાણકારો દ્વારા શહેરની ભાગોળે આવેલા ગામડાઓમાં રોકાણકરવા લાગ્યા છે. પરંતુ ડી.આર.એલ.આર. કચેરીની ઢીલી નીતી અને નબળી કામગીરીના કારણે કોર્પોરેશનમાં નવા ભળેલા વિસ્તારોમાં ટીપી ફાઈનલ થતી ન હોય આ બાબતે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની આગેવાની હેઠળ વિરલભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ઘોડાસરા, અતુલભાઈ જાની, જયદીપભાઈભુત, હિતેષભાઈ તલસાણિયા, સુનિલભાઈ સન્નીભાઈ રામાણી અને ભોપનભાઈ વેકરિયા દ્વારા ડીઆરએલઆરના નાયબ નિયામકને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલા વાવડી, માધાપર, મનહરપુર, રોણકી અને મુંજકા ગામની નિમતાણાની પ્રક્રિયા તાકીદે પુરી કરવા રજૂઆત કરવામા આવી છે.કોર્પોરેશનમાં ભળેલા ગામડાઓનું સીમતલ નક્કી થયા બાદ જ ટીપીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ડીઆઈએલઆર કચેરી દ્વારા નિમતાણાની પ્રક્રિયા નહી કરતા ટી.પી. સ્કીમો ખોરંભે પડી હોવાનું જણાવ્યું છે.