‘લાલો’ ફિલ્મના કલાકારોને પોલીસનું તેડુ
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં સર્જાયેલ અફરાતફરીની ઘટનામાં મેનેજર સામે ગુનો નોંધ્યા બાદ પોલીસ એકશનમાં
નિવેદન સંતોષકારક નહીં હોય તો કલાકારો સામે પણ ગુનો નોંધાશે
કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન માટે આવેલા કલાકારો અને ફિલ્મના નિર્માતા અને નિર્દેશકને પોલીસે નિવેદન આપવા માટે નોટિસ મોકલી છે. આ ઘટનામાં લાલો પ્રમોશન દરમિયાન ક્રિસ્ટલ મોલના મેનેજરની બેદરકારીના કારણે મોલમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને બાઉન્સર જ્યારે કલાકારોને લઈ જતાં હતાં ત્યારે ભીડ બેકાબુ થઈ હતી. જેમાં અનેક લોકો ઘવાયા હતાં અને એક બાળકીને બચાવી લેવાઈ હતી. આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
રાજકોટના મોલમાં લાલો ફિલ્મના પ્રિમયરમાં થયેલી અફરાતફરીનો મુદ્દે હવે ફિલ્મના કલાકારો અને ડાયરેક્ટરને રાજકોટ પોલીસનું તેડુ આવ્યું છે. કલાકારોને પૂછપરછ માટે બોલાવાયા છે. રાજકોટ-ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીના માહોલનો મુદ્દો ગરમાયો છે. ગઈકાલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર સામે ગુનો નોંધાયો હતો. મંજૂરી વિના લોકોને એકઠાં કરીને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે મેનેજર સામે ગુનો નોંધાયો હતો. ત્યારે મોલમાં હાજર સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું આવ્યું છે.
પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. જો નિવેદન સંતોષકારક નહિ હોય તો કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઇ શકે છે. મંગળવારે થયેલી અફરાતફરીમાં અનેક લોકો ધક્કે ચડ્યાં હતા.
મંગળવારના રોજ રાજકોટમાં લાલો ફિલ્મનું પ્રમોશન શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયું હતું. જેમાં લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી. ગઈકાલે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં સ્ટારકાસ્ટને મળવા લોકો ઉમટ્યા હતા. બાઉન્સરો વચ્ચે સ્ટારકાસ્ટને લઈ જતા ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા થોડા સમય માટે સ્થિતિ કફોડી બની હતી.
આ દરમિયાન મોલની ઇલેકિટ્રક સીડી (એસ્કેલેટર) પાસે સૌથી જોખમી સ્થિતિ ઉભી થઈ. ભીડના દબાણ વચ્ચે એક નાની બાળકી પગથિયા પરથી પટકાઈ ગઈ હતી. ઘટના એટલી અચાનક બની કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા. જો કે હાજર રહેલા બે સજાગ વ્યક્તિઓએ તરત જ આગળ આવી બાળકીનો હાથ પકડી તેને નીચે સરકી જવાથી બચાવી લીધી. સમયસર મળી આવેલી મદદના કારણે બાળકી બચી હતી. ઘટનામાં પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તેમજ હવે પોલીસે પ્રમોશન માટે આવેલા અને ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહદ ગૌસ્વામી, તુલસીનું પાત્ર ભજવનાર રિવા રાજ, અન્ય સ્ટાર કાસ્ટ તેમજ ફિલ્મના નિર્માતાઓ અને નિર્દેશકને પુછપરછ માટે તેડુ મોકલ્યું છે. તેમજ આ અંગે પીઆઈએ જણાવ્યું હતું કે, કલાકારોના નિવેદન સંતોષકારક નહીં જણાય તો તેમની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.