કબૂતરબાજી: ફ્રાન્સથી આવેલા 21 લોકોની પૂછપરછ કરતી CID
ફ્રાન્સમાં અધિકારીઓ દ્વારા ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે ગત શુક્રવારે (22 ડિસેમ્બર) પેરિસ નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. જો કે, આ વિમાન મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યું હતું. ત્યારે તેમાં 276 પેસેન્જર હતા.
આ ભારતીય મુસાફરોમાંથી કેટલાક ગુજરાતી પણ હતા. ત્યારે હવે માહિતી મળી છે કે ફ્રાન્સ એરપોર્ટથી ડિપોર્ટ કરાયેલા આ ગુજરાતી પૈકી 21 લોકોના ઘરે પૂછપરછ માટે CIDક્રાઈમની ટીમ પહોંચી હતી અને એજન્ટો અંગે પુછપરછ કરી હતી.
મંગળવારે આ વિમાન મુંબઈ પહોંચ્યું હતું. આ વિમાનમાં 276 મુસાફરો પૈકી કેટલાક ગુજરાતી પણ હતા, જેમાંથી 21 લોકોના ઘરે CIDક્રાઈમની ટીમ પહોંચી છે. ગાંધીનગર, મહેસાણા અને આણંદ ખાતે CIDક્રાઈમની ટીમ પૂછપરછ કરવા માટે પહોંચી છે. આ આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી કૌભાંડમાં સંકળાયેલા એજન્ટો સુધી પહોંચવા માટે સીઆઈડી ક્રાઇમે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. અહેવાલ છે કે, આ કૌભાંડમાં લોકોને વિદેશ મોકલવા માટે 40 લાખથી લઈને રૂૂ. 1.40 કરોડ સુધીમાં ડીલ કરાઈ હતી.
એવું પણ સામે આવ્યું છે કે પરિવારને રૂપિયા પરત કરીને એજન્ટો દ્વારા તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. CIDક્રાઈમ દ્વારા તપાસ ચાલુ થતા 6 એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા હોવાની માહિતી છે. જો કે, અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. CIDક્રાઈમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ ફ્લાઈટમાં 303 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. એક ફ્રેન્ચ અધિકારીઓનું કહેવું છે કે બે સગીર સહિત 25 લોકોએ આશ્રય મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેથી તેઓ ફ્રાન્સમાં જ રહ્યા છે.