PGVCLની મનમાની: સ્માર્ટ મિટર લગાવો તો જોખમી ડાળીઓ કાપીશું
વિજલાઇનમાં રહેલી ઝાડની ડાળીઓ દૂર કરવા કૈલાસ પાર્ક વિસ્તારના ગ્રાહકોએ અરજી કરતા મળેલો જવાબ: રહીશોમાં તંત્ર સામે આક્રોશ
સ્માર્ટ મિટર મામલે રાજકોટ સહીત સમગ્ર રાજયમાં વિવાદ ચાલી રહ્યો છે. લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની રાવ પણ ઉઠી રહી છે ત્યારે રાજકોટમાં સ્માર્ટ મિટર લગાવવા પીજીવીસીએલ દ્વારા જોખમી દબાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વીજ લાઇનમાંથી પસાર થતી ડાળીઓ કાપવા અરજી કરતા પીજીવીસીએલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે પહેલા સ્માર્ટ મીટર લગાવો પછી ડાળીઓ કપાશે. તેવો આક્ષેપ કૈલાસ પાર્ક વિસ્તારના રહીશો દ્વારા રોષ સાથે કરાયો છે.
રાજકોટ શહેરના કૈલાશ પાર્ક વિસ્તારમાં આવેલા સંકલ્પ સિદ્ધ એપાર્ટમેન્ટના રહીશોએ વીજલાઈન પર લટકતી વૃક્ષની ડાળીઓ દૂર કરવાની લેખિત અરજી PGVCLમાં કરી હતી. અરજદારોએ ચોમાસા પૂર્વે સંભવિત અકસ્માતને ટાળવા તાત્કાલિક કાર્યવાહી માગી હતી. પરંતુ PGVCLના સ્થાનિક અધિકારીએ આ અરજી સાથે મોકલેલ કર્મીઓને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે: પહેલા સ્માર્ટ મીટર લગાવો, ત્યારબાદ ફરિયાદ એટેન્ડ કરવી ! આ ઉલટા શરત જેવી લાગતી ફરમાવટ પર રહીશોએ વાંધો ઉઠાવ્યો તો કર્મચારીઓ વિવાદ ટાળતા ઘટના સ્થળેથી જ ભાગી ગયા. ફ્લેટના રહીશોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે જેમાં PGVCL કર્મચારીઓની નફટાઈ જોઈ શકાય છે કે અમને સાહેબે કીધું તે કરીશું !
સ્થાનિકોએ કહ્યું ચોમાસાની સીઝનમા અકસ્માતે કોઈ શોર્ટ સર્કિટ થશે તો અમારા બાળકો નીચે પાર્કિંગમાં રમતા હોય છે અને બાજુમા મીટરો લગાવેલા છે, વાહનો પણ પાર્કિંગ હોય છે જેથી અમે ડાળીઓ દૂર કરવા રજૂઆત કરી હતી પરંતુ લોકોની જાનમાલ કરતા તંત્રને સ્માર્ટ મીટર લગાડવાની પડી છે તે દુ:ખદ છે. અમે પુરુ વીજબિલ ભરીયે છે જેથી વીજલાઈન મુદે તમામ પ્રશ્નોની નિરાકરણની જવાબદારી તંત્રની હોય છે તેમ છતાં આવી મજબૂરીનો લાભ ઉઠાવે તે શરમજનક છે.અમારા ફ્લેટમાં 25 પરિવારો રહે છે એટલે બધામેં સ્માર્ટ મીટર લગાવું કે નહીં તે બધાની સમંતિ લેવી પડે ત્યારે પહેલા જે ગંભીર પ્રશ્ન છે તે સોલ્વ કરાઈ કે સ્માર્ટ મીટર લગાડવાની ચિંતા કરાઈ ?
દરવર્ષે PGVCL તરફથી પ્રી-મોનસૂન કામગીરીના નામે કરોડો રૂૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ પર કોઇ કામગીરી થતી નથી. સમગ્ર રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં વિનલાઇન પર વૃક્ષોની ડાળીઓ લટકતી હોય છે તો ક્યાંક મોટા હોર્ડિંગો -બેનરો કે મકાનોની દીવાલોની નજીક લાઈનો હોય છે ! અનેક જગ્યાઓ પર વીજપોલ ધરાશાયી જેવા હલતા હોય છે, તો ક્યાંક સાવ ટ્રાન્સફોર્મર ખુલ્લા છે. PGVCLની બેદરકારીને કારણે દરેક ચોમાસા દરમિયાન રાજકોટમા અનેક કૃત્રિમ અકસ્માતોના કારણે લોકોના મોતના બનાવો નોંધાતા આવ્યા છે. તેમ છતા તંત્ર આજ પણ સ્માર્ટ મીટર પહેલા લગાવો પછી કામ કરીએ તેવા શરમજનક જવાબ આપે ?