દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા પદયાત્રીઓનો પ્રવાહ.. સેવા કેમ્પો ધમધમ્યા
- જય દ્વારકાધીશ, જય રણછોડના નારા અને કૃષ્ણ,ગોપીના ગીતોના ગુંજન સાથે હજારો લોકો પગપાળા જઈ રહ્યા છે
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હૂતાશણી પર્વે ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે, ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથોમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે અને જામનગરની ભાગોળેથી પસાર થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી દિવસો દરમ્યાન સતત વધારો થતો જોવા મળશે. દ્વારકા તરફ આવતા તમામ ધોરી માર્ગો પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકો માટે આરામ, ભોજન, નાસ્તા, સરબત-પાણી તેમજ મેડિકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ કરવામાં આવી છે. ગુજરાતના ગામેગામ ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ પગપાળા યાત્રીસંઘો દ્વારકા તરફ છેલ્લા એકાદ મહિનાથી નીકળ્યા છે અને ’જય રણછોડ’ ’જય દ્વારકાધીશ’ ’નંદભયો’ ઉપરાંત કૃષ્ણ ગીતો, ગોપીગીતો પણ ગુંજી રહ્યા છે, રાજકોટ, જામનગર, કાલાવડ વિવિધ સ્થળેથી દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, આ પદયાત્રાઓની સેવા માટે જામનગરની ભાગોળે પણ સેવાભાવી લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, મિત્રવર્તુળો, સંગઠનો, ભકતમંડળો, ગરબીમંડળો અને સંલગ્ન ગ્રામજનો તેમજ શહેરીજનો દ્વારા ઠેર-ઠેર વ્યવસ્થા થઈ છે.