પતિદેવોના પરાક્રમો નડયા, બન્ને નગરસેવિકાની ભાજપમાંથી હકાલપટ્ટી
- અપક્ષ કોર્પોરેટર તરીકે ચાલુ રાખવાની છટકબારી: ભાજપના કોર્પોરેટર તરીકે કોઈપણ સ્થળે પોતાની ઓળખ આપી શકશે નહીં
શહેરના વોર્ડ નં.5ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને અંતે આવાસ કૌભાંડમાં કસુરવાન ઠેરવી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સામેકાંઠે આવાસ કૌભાંડમાં બન્ને કોર્પોરેટરોના પતિની સંડોવણી ખુલવા પામતાં આ પ્રકરણ અંગે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. જેનો ખુલાસો 48 કલાકમાં આપવાનો હતો. જેમાં બન્ને કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરેલ છતાં બનાવની ગંભીરતા સમજી હાઈકમાન્ડની સુચના અનુસાર આજે બપોરે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ બન્ને કોર્પોરેટરોને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો અને હવે બન્ને કોર્પોરેટર પદે અપક્ષ તરીકે ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં સાગરનગર ઝુંપડપટ્ટી દૂર કરવા અને ત્યાં રહેતા પરિવારોને આવાસ ફાળવવાનો નિર્ણય લઈ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરના પતિ દ્વારા કૌભાંડ આચરી પોતાના મળતીયાઓને આવાસો આપી દીધાનું બહાર આવ્યું હતું. જેની તપાસ કરવામાં આવી હતી. આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિપક્ષો દ્વારા આક્ષેપ થઈ રહ્યાં હતાં. પરિણામે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ આ કૌભાંડમાં નામ ઉછળેલ તેવા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સોકોઝ નોટિસ ફટકારી મંગળવારના રોજ 48 કલાકનો સમય ખુલ્લાસા માટે આપ્યો હતો. જે મુદત આજે પૂર્ણ થતાં કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરે પોતાનો બચાવ કર્યો હતો. જે પાંગડો પુરવાર થતાં શહેર ભાજપ દ્વારા પ્રદેશ હાઈકમાન્ડ પાસે આ મુદ્દે રજૂઆત કરી નિર્ણય માંગવામાં આવ્યો હતો. જેમાં બપોરે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની ગેરરીતિ ચલાવી ન લે અને આવાસ કૌભાંડમાં નામ બહાર આવ્યું છે ત્યારે કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરનો બચાવ થઈ શકતો નથી. આથી તેઓને ભારતીય જનતા પાર્ટી પક્ષમાં ચલાવી શકે નહીં અને તેમને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા આ સુચના આવ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પત્રકાર પરિષદ યોજી ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને છ વર્ષ માટે ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને આજે ભાજપના સભ્ય પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે નેતા હોય ગેરરીતિ કરે ત્યારે ચલાવી લેવામાં આવતી નથી. આથી આ પ્રકરણમાં ગરીબોને મળવા પાત્ર આવાસો પોતાના પરિવારજનોને અપાવી દેવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. આથી સોકોઝ નોટિસ આપ્યા બાદ બન્ને કોર્પોરેટરો દ્વારા બચાવમાં આપવામાં આવેલ જવાબ સંતોષકારક ન હોવાથી બન્નેની હકાલપટ્ટી કરવામાં આવી છે. પરંતુ તેઓ કોર્પોરેટર પદે ચાલુ રહેશે. ભાજપના મેન્ડેટ ઉપર કોર્પોરેટર બન્યા છે પરંતુ હવે તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેઓ અપક્ષના કોર્પોરેટર તરીકે કાર્યરત રહેશે. તેમને કોર્પોરેટર પદેથી હટાવવા કે તેમનું રાજીનામું લેવાની સત્તા મારી પાસે નથી છતાં પ્રદેશ હાઈકમાન્ડની સુચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર આજથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે કોઈપણ સ્થળે પોતાની ઓળખ આપી શકશે નહીં તેમજ ભાજપના સભ્ય તરીકે પણ કોઈપણ કાર્યક્રમ કે અન્ય સ્થળે હાજર રહી શકશે નહીં તેમ જણાવ્યું હતું.
સરકારી જમીન પર દબાણ કરનાર કોર્પોરેટરના પતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેંબગ હેઠળ ગુનો નોંધો: કોંગ્રેસ
જુના માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલી ઝુંપડપટ્ટી કે જ્યાં રહેતા ગરીબોને આવાસ આપીને ત્યાં તે જગ્યા ખાલી કરાવી ત્યાં આઇકોનિક બ્રિજ બનાવવા મનપાએ પ્રોજેક્ટ મુક્તો હતો. તેમજ પ્રધ્યુમન પાર્કના ગેઇટની સામેના વિસ્તારમાં ડાબી બાજુમાં શેરીમાં વળતા નાની-નાની અનેક ઓરડીઓ બની ગઇ છે. ત્યાં આ વિસ્તારમાં કવાભાઇ ગોલતરની સોસાયટી તેમ કહેવામાં આવે છે. ત્યાં આવેલું એક ગોડાઉન જેનો ઉપયોગ સારા-નરસા પ્રસંગે થાય છે. આ સમગ્ર જગ્યાં સરકારી હોવાનું બાદમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કવા ગોલતરના પત્ની વજાબેન જે હાલ કોર્પોરેટર હોય તે પદનો દુરુપયોગ કરી કવાએ સરકારી જમીન પર અંદાજીત 350 ઓરડી અને હોલ બનાવી નાખ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઇ રાઠોડ અને કોંગી આગેવાનોએ પોલીસ કમિશનર અને કલેક્ટરને રજુઆત કરી કવા ગોલતર સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી.