પરેશ-ભાસ્કર અપહરણ કેસની 24 વર્ષે સુનાવણી: અપહૃતોની લેવાઇ જુબાની
બેના એન્કાઉન્ટર અને ત્રણને ભાગેડુ જાહેર કર્યા બાદ કોર્ટમાં ચાર્જ ફ્રેમ દાખલ: 154 વીટનેસની જુબાની સાથે કેસનું ટ્રાયલ શરૂ
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂૂ.20 કરોડની ખંડણી વસુલવાના મામલે 24 ભાષ્કર-પરેશ અપહરણના કેસની 24 વર્ષ બાદ કોર્ટમાં ચાર્જફ્રેમ થતા આજથી સુનવણી હાથ ધરવામાં આવતા તમામ આરોપીઓને રજૂ રાખવામાં આવ્યા હતા. જુબાની દરમિયાન બંને અપહત દ્વારા ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલની સર તપાસમાં ફરિયાદી શાહ કોર્ટમાં હાજર આરોપીઓને ઓળખી શકેલ નહીં તેવું જાણવા મળેલ છે
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.12/11/2000 ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્કર અને પરેશ નામના બંને યુવકોની રૂૂ.20 કરોડની ખંડણી વસૂલવાના મામલે અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ડીસીપી અરૂૂણકુમાર શર્માની કાબીલેદાદ કામગીરીથી દુબઈ અને લંડન પોલીસ અને એનઆરઆઈની મદદથી તેમજ રાજ્યના ચુનંદા પોલીસ અધિકારીઓએ ભરૂૂચ ગ્રામ્ય વિસ્તારના વાલીયા પાસે તત્કાલીન ડીસીપી અરુણકુમાર શર્મા અને સુભાષ ત્રિવેદીની ટીમ દ્વારા રાજશી હાથિયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ભાષ્કર પ્રભુદાસ પરેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કર્યો હતો. જ્યારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનને પીઆઇ જે.જે. ધ્રાંગા, સહિતની ટીમે એન્કાઉન્ટર કર્યું હતું. બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.26/11/2000 માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો સહિત 47 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા પૂરતો પુરાવો મળતા કોર્ટમાં 7/1/2002 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં 154 વિટનેસ હતા. ત્યારે આ કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો ન હતો.
બાદ અધિક જજ ડી.એસ. સિંઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર થતા માત્ર દોઢ જ મહિનામાં કેસને ચાર્જફેમ કરવામાં આવ્યો છે જેમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બે શખ્સના એન્કાઉન્ટર થયા છે. કોર્ટે મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલના નામનું પકડ વોરંટ ઈસ્યૂ કર્યું હતું જ્યારે સચિન માડમ સહિત ત્રણ આરોપીને ભાગેડુ જાહેર કરી કલમ 82 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બાકીના આરોપીઓને જુબાની માટે ટેલીફોનિક સમન્સની બજવણી કરવામાં આવી આવી હતી. અને પુરાવો નોંધ્યા બાદ આજે તા.2 જુલાઈના રોજ ન્યાયાધીશ ડી.એસ.સિંઘની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉઘડતી કોર્ટે આફતાબ અન્સારી અને વિશાલ માડમ સહિતના આરોપીઓને રજૂ રાખવામાં આવ્યા હતા. જુબાની દરમિયાન બંને અપહત દ્વારા ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
સર તપાસ પૂર્ણ થતા બચાવ પક્ષના લેવામાં આવશે. ત્યારબાદ અપહરણનો ભોગ બનેલ સાહેબ ભાસ્કર લીલાધર પારેખની પણ સર તપાસ અને ઉલટ તપાસ લેવામાં આવશે ત્યારબાદ અન્ય સાહેબોની પણ જુબાની લેવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવશે દરમિયાન જાણવા મળતી વિગત મુજબ સરકારી વકીલની સર તપાસમાં ફરિયાદી શાહ કોર્ટમાં હાજર આરોપીઓને ઓળખી શકેલ નહીં તેવું જાણવા મળેલ છે ત્યારે બચાવ પક્ષ દ્વારા ફરિયાદી પરેશભાઈની ઉલટ તપાસ શરૂૂ થયાનું જાણવા મળે છે આ કામમાં સરકાર પક્ષે મહેશભાઈ બચાવ પક્ષે વકીલ લલિતસિંહ શાહી, પી.એમ. શાહ,સુરેશ ફળદુ, પી.એમ. જાડેજા, આર.બી.ગોગિયા, કિરીટ નકુમ રોકાયેલા છે.