કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરપંચ બારડે ગ્રામજનો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત કચેરીને રાત્રિના સમયે પણ ખુલ્લી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી દરરોજ રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી મિતિયાજ ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જે ગ્રામજનો અને ખેડૂતો દિવસભર મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે, તેમને દિવસ દરમિયાન પંચાયત સંબંધિત કામગીરી માટે સમય મળી શકતો નથી. સરપંચ બારડના આ પગલાથી હવે તેઓ પોતાના દિવસભરના કામ બાદ પણ પંચાયતની સેવાઓનો સરળતાથી લાભ લઈ શકશે.
આ નવી વ્યવસ્થાથી ગ્રામજનો અને ખેડૂતોને અનેક સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે. સરપંચ બારડે જણાવ્યું કે, આ રાત્રિ સેવા દરમિયાન વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન, આરોગ્ય લક્ષી યોજનાઓ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી તમામ પ્રકારની યોજનાઓ સંબંધિત કામગીરી થઈ શકશે. આ ઉપરાંત, ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધિત મુદ્દાઓ, સરકારી સહાય, કે ખેતીવાડી સંબંધિત અન્ય કોઈ પણ બાબતે નિરાકરણ મેળવી શકાશે.
સરપંચ બારડે વધુમાં જણાવ્યું હતું કે, મારા ગામના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને જે દિવસે ટાઈમ નથી મળતો એના માટે સ્પેશિયલ મેં રાત્રીના 8:30 થી 10:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયત ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મીતીયાજ ના સરપંચ બારડનો આ નિર્ણય અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂૂપ છે. ગ્રામજનોની સુવિધાને પ્રાધાન્ય આપતો આ અભિગમ લોકશાહીના સાચા અર્થને સાર્થક કરે છે અને આશા છે કે આવા જ લોકહિતના કાર્યો થતા રહેશે, જેનાથી ગામડાં વધુ સમૃદ્ધ બનશે.