રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાય
હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્નકલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક-શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્નકલાકારો માટે એક વર્ષ માટેની 13500 સુધીની શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રત્નકલાકારો સહાયની માગ કરી રહ્યાં હતા. અગાઉ 11 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી.
આ પછી આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહત પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે સહાય અંતર્ગત અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ચૂકવશે. ફી 100% લેખે અને મહત્તમ 13 હજાર 500ની મર્યાદામાં હોવી જોઈએ. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી સ્કૂલ ફીની ચૂકવણી થશે.
નાના હીરાઉદ્યોગને ટર્મલોન પર 5 લાખ ઉપર 9%ના દરે 3 વર્ષ વ્યાજની સહાય અપાશે. ઉપરાંત આ રાહત પેકેજ અંતર્ગત, હીરા એકમોને એક વર્ષ સુધી ઈલેક્ટ્રીસિટી ડ્યૂટીમાંથી મુક્તિ અપાશે. 2.5 કરોડથી ઓછું રોકાણ હોય તેવા એકમોને સરકારી સહાયનો લાભ મળશે. 2022-23, 2023-24, 2024-25માં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ. 31 માર્ચ, 2025 સુધીમાં રજિસ્ટ્રેશન થયેલા એકમોને પણ સહાયનો લાભ મળશે. સંપૂર્ણ બેરોજગાર હોય તેવા જ લોકોને સહાયનો લાભ મળશે.
31/3/2024 પછી છેલ્લે કામ ન મળ્યું હોય, જેમને નોકરી ન મળી હોય, જેમને હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય કે આવા કોઈપણ હીરાના કારખાનામાં ત્રણ વર્ષ કામગીરી કરી હોવી જોઈએ. આ રાહત પેકેજના લાભાર્થી રોજગારીથી વંચિત હોવા જોઈએ. સાથે જ રત્નકલાકારની ઉંમર 21 વર્ષની વધુ હોવી જોઈએ. જે રત્ન કલાકારે આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવાશે.