રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તબીબોની આક્રોશપૂર્ણ હડતાળ
ઠેરઠેર રેલી- કેન્ડલ માર્ચના કાર્યક્રમો, સરકારી તબીબો સાથે ખાનગી ડોકટરો પણ હડતાલમાં જોડાયા
ઇમર્જન્સી સિવાયની તબીબી સેવાઓ ખોરવાઇ, હજારો દર્દીઓની હાલત કફોડી
પશ્ચિમ બંગાળમાં ગત તા. 9ના આર.જી.કર મેડીકલ કોલેજમાં એક મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારીને તેની હત્યા કરવાના અત્યંત નિર્દયી અપરાધ સામે દેશભરના તબીબોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી તબીબો હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરતા હતા. પરંતુ હવે તેમની સાથે આજે ખાનગી તબીબો પણ જોડાયા હતા. ત્યારે આ ઘટનાના વિરોધમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરની સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબો આજે હળતાળ ઉપર ઉતર્યા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોએ સૂત્રોચ્ચારો કર્યા હતા.તબીબોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકથી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને સમગ્ર દેશમાં ભારે આક્રોશ છે, જેણે એક મોટા વિરોધનું સ્વરૂૂપ લીધું છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને હત્યાના વિરોધમાં આજે શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ઓપીડી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી ડોક્ટરો હડતાળ પર રહેશે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલોમાં ઓપીડી અને રૂૂટીન સર્જરી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. નાની ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા. આજે એક દિવસ હોસ્પિટલ અને કલીનીક બંધ રાખી હળતાળ સાથે જોડાયેલ રાજકોટની સિવિલ હોસ્પિટલના અને ખાનગી હોસ્પિટલ તેમજ આયુર્વેદ તબીબોએ સિવિલ હોસ્પિટલ ચોકથી રેલી કાઢી કલેકટર કચેરી સુધી જઈ આવેદનપત્ર આપી વિરોધ નોધાવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલના જુનિયર અને રેસીડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ થઈ હતી. ડોક્ટરોએ સૂત્રોચ્ચારો કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડી હતી. સૌરાષ્ટ્રભરમાંથી તબીબોએ ઈમરજન્સી સિવાયની તબીબી સેવાઓમાં બંધ રાખી હડતાળ જાહેર કરાઈ છે. આજે અને કાલે રવિવારે મોટાભાગે ક્લીનીકો વગેરે બંધ રહેશે.
ઇન્ડીયન મેડીકલ એસોસિએશને રેસિડેન્ટ ડોક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં મોટાપાયે ફેરફારની માંગ કરી છે. તેમજ કેન્દ્રીય અધિનિયમ માટે દબાણ કર્યું છે જે 2023 માં સૂચિત હોસ્પિટલ પ્રોટેક્શન બિલ 2019 માં રોગચાળાના રોગો અધિનિયમ 1897 માં કરાયેલા સુધારાને સમાવિષ્ટ કરશે. એસોસિએશનનું માનવું છે કે આ પગલું 25 રાજ્યોમાં હાલના કાયદાઓને મજબૂત બનાવશે. ઇન્ડીયન મેડીકલ એસોસિએશને એવું પણ સૂચન કર્યું છે કે કોરોના દરમિયાન લાગુ કરાયેલા સમાન વટહુકમ આ સ્થિતિમાં યોગ્ય રહેશે. તબીબોના સંગઠને ગુનાની સાવચેતીભરી અને વ્યાવસાયિક તપાસ તેમજ નિયત સમયમર્યાદામાં ન્યાયની માંગણી કરી છે. આ સિવાય ઇન્ડીયન મેડીકલ એસોસિએશને 14 ઓગસ્ટની રાત્રે હોસ્પિટલ કેમ્પસમાં તોડફોડ કરનારા લોકોની ઓળખ કરીને તેમને કડક સજા કરવાની પણ માંગ કરી છે. ઇન્ડીયન મેડીકલ એસોસિએશને તમામ હોસ્પિટલોના સુરક્ષા પ્રોટોકોલ કોઈપણ એરપોર્ટ કરતા ઓછા ન હોવા જોઈએ. ફરજિયાત સુરક્ષા અધિકારો સાથે હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવું એ પ્રથમ પગલું છે. સીસીટીવી કેમેરા, સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. તેમજ પીડિત પરિવારને યોગ્ય અને સન્માનજનક વળતરની માંગ કરી છે.
એલોપેથી અને આયુર્વેદિક ડોકટરો પણ હડતાળમાં જોડાયા
સિવિલ હોસ્પિટલના જુનીયર તબીબો બેમુદતી હળતાળ ઉપર છે અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આજે વારે 24 કલાકની હડતાળ પાડવાનું એલાન આપ્યું હોય જેમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રના એલોપેથી તેમજ આયુષ તબીબો પણ હડતાળમાં જોડાયા હતા. રાજકોટના ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ દ્વારા પણ આજે બંધને સમર્થન આપ્યું હોય રાજકોટની આશરે 2000 જેટલી આયુર્વેદ તબીબોની ક્લીનીક્સ બંધ રહી હતી.