અમારા ચાર ધારાસભ્યો ‘આપ’ સાથે જ છે, અફવાઓ પર ધ્યાન આપવું નહીં: ગઢવી
ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત ‘આપ’ના ધારાસભ્ય ભુપત ભાયાણી તથા કોંગ્રેસના ચિરાગ પટેલે ધારાસભ્ય પદ અને પાર્ટીમાંથી રાજીનામા આપતા સર્જાયેલ રાજકીય ખળભળાટ વચ્ચે આપ અને કોંગ્રેસનાં વધુ ધારાસભ્યો રાજીનામા આપી રહ્યાની અટકળો વહેતી થતાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી છે કે, અમારા તમામ ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છે, અફવા પર કોઈએ ધ્યાન આપવું નહીં. જ્યારે આપના બે ધારાસભ્યો ઉમેશ મકવાણા અને હેમંત ખવાએ પણ મીડિયા સમક્ષ આવીને પોતે પાર્ટીમાં જ હોવાની સ્પષાટતા કરવાની ફરજ પડી છે.
ગત સપ્તાહે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ એક સપ્તાહ બાદ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું પણ રાજીનામું પડતા ગુજરાતના રાજકારણમાં ખળભાટ મચી ગયો છે. કોંગ્રેસના આ ધારાસભ્યના રાજીનામા બાદ ફરી એકવાર આપના ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા એ જોડ પકડ્યું હતું. જેના પગલે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધીને ખુલાસો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો રાજીનામું આપવાના નથી કે ભાજપમાં જોડાવાના નથી.
ઉમેશ મકવાણા એ જણાવ્યું કે, મારી સિવાયના હેમંત ખવા, સુધીર ભાઈ તમામ આપના સંપર્કમાં છીએ. રાજીનામાની અને ભાજપમાં જોડાવાની વાત અફવા છે. હું આવી ચાલતી અફવાઓનું ખંડન કરું છું. મારા સાથી ધરસભ્યો લોકોના પ્રશ્નો ઉઠાવતા રહેશે. વિપક્ષના ધારાસભ્યોને ડરાવી ધમકાવી ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. અમે રાજનીતિ કરવા નહિ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ભાજપના શાસનમાં ઓબીસી સમાજ વધુ ગરીબ બન્યો છે. 2024માં જનતા જવાબ આપશે.
તો બીજી તરફ ધારાસભ્ય હેમંત ખાવાએ પણ મીડિયા સમક્ષ આવીને તેમના રાજીનામાં અંગેની ચાલતી વાતોનો ખંડન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે તેઓ અન્ય પાર્ટીમાં જોડાવા કરતા ઘરે બેસવાનું વધારે પસંદ કરશે. તેઓએ તેમના સહિત અન્ય ત્રણ ધારાસભ્યો અંગે પણ ખાત્રી આપીને જણાવ્યું કે કોઈ રાજીનામું આપશે નહીં અને ભાજપમાં જોડાશે નહીં.