ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
- લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે જલારામ બાપાની ઝાંખી, નૂતન ધ્વજારોહણ, નાત સહિતના કાર્યક્રમો -
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની 143 મી પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે સોમવાર તારીખ 4 ના રોજ રાત્રે 9:30 વાગ્યે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના કલાકારો દ્વારા શ્રી જલારામ બાપાની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જલારામ બાપાની 143 મી પુણ્યતિથિ નિમિત્તે મંગળવાર તારીખ 5 ના રોજ સવારે 10 વાગ્યે જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ તેમજ સાંજે રાત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે બહેનો માટે 6:30 થી 8:30 વાગ્યા સુધી તેમજ ભાઈઓ માટે રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી સમૂહ જ્ઞાતિ ભોજન (નાત) નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ધર્મમય આયોજનોમાં સહભાગી થવા સર્વે રઘુવંશી જ્ઞાતિજનોને શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.