ડુંગળીના ભાવ 250થી નીચે, નિકાસબંધી બાદ 20 દી’માં મણે રૂા. 650નો કડાકો
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કર્યા બાદ ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડુતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડુતોના આંદોલન અને ભાજપના નેતાઓની માંગણીઓ છતાં કેન્દ્ર સરકારે નિકાસબંધી નહીં ઉઠાવતા માત્ર 20 દિવસમાં ડુંગળીનો ભાવ રૂા. 900થી ઘટીને 250ના તળિયે પહોંચી ગયો છે. પરિણામે માર્કેટયાર્ડમાં ડુંગળી લાવનાર ખેડુતો ભારે નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ ડુંગળીના ભાવ 20 કિલોએ રૂા. 50 તુટી ગયા છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે હરરાજી દરમિયાન 20 કિલો ડુંગળીના ભાવ રૂા. 71થી માંડી રૂા. 251 સુધી બોલાયા હતા. જે આસીઝનના સૌથી નીચા ભાવો છે.ડુંગળીની નિકાસબંધી પૂર્વે 20 કિલોના ભાવ રૂા. 900 સુધી મળતો હતો પરંતુ હવે ખેડુતોને 20 કિલોનો ઉંચામાં ઉચો ભાવ માત્ર રૂા. 251 સુધી મળતો હોવાથી ખેતરોમાંથી યાર્ડ સુધી પહોંચાડવાના ભાડા પણ માથે પડી રહ્યા છે. આ સિવાય બિયારણ, સિંચાઈ, લાઈટબીન, મજુરી સહિતના ખર્ચ પણ નહીં નિકળતા ડુંગળી પકવનાર ખેડુતોની હાલત કફોડી થઈ ગઈ છે.
નિકાસ બંધીના માત્ર વીસ જ દિવસમાં ડુંગળીના ભાવમાં 20 કિલોએ રૂા. 650 સુધીનો કડાકો બોલી ગયો છે. નબળી ડુંગળી તો મફતના ભાવે વેંંચાઈ રહી હોવાથી ખેડુતો આવી ડુંગળી માર્કેટ યાર્ડમાં પણ લાવી શકતા નથી અને ફેંકી દેવાની ફરજ પડે છે. હાલ ડુંગળીની ચિક્કાર સીઝન ચાલી રહી છે. પરંતુ ખેડુતોને ભાવો મળવામાં નિકાસબંધી વિલન પુરવાર થઈ છે.