રાજકોટમાં ચાંદીપુરાથી વધુ એક મોત, રાજ્યમાં મૃત્યુઆંક 44 થયો
મોટામવા વિસ્તારમાંથી દાખલ થયેલી શ્રમિક પરિવારની બાળકીએ દમ તોડયો, ગુજરાતમાં કુલ 124 શંકાસ્પદ કેસોમાંથી 37ના રિપોર્ટ પોઝીટિવ
ગુજરાતમાં કોરોના જેવી મહામારી બાદ હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે સમગ્ર ગુજરાતને તેના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી મોટામવામાં રહેતા પરિવારની 11 વર્ષની બાળકીનું રિપોર્ટ આવે તે પૂર્વે મોત થયું છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ પાંચ બાળકો દાખલ છે જેમાંથી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે અન્ય ત્રણના રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 44 બાળકોનો ભોગ લેવાયો છે અને ગુજરાતમાં 124 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 37ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો વાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. મુખ્યમંત્રી દ્વારા જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પેરેશન 12, ગાંધીનગર 06, પંચમહાલ 15, જામનગર 06, મોરબી 05, ગાંધીનગર કોપેરેશન 03, છોટાઉદેપુર 02, દાહોદ 02, વડોદરા 06, નર્મદા 02, બનાસકાંઠા 05, વડોદરા કોર્પેરેશન 02, ભાવનગર 01 દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પેરેશન 04, કચ્છ 03, સુરત કોર્પોરેશન 02, ભરૂૂચ 03, અમદાવાદ 01 તેમજ જામનગર કોર્પોરેશન 01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા 06, અરવલ્લી 03, મહીસાગર 01, ખેડા 03, મહેસાણા 04, રાજકોટ 01, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન 03, ગાંધીનગર 01, પંચમહાલ 06, જામનગર 01, મોરબી 01, દાહોદ 01, વડોદરા 01, બનાસકાંઠા 01, દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પેરેશન 01 તેમજ કચ્છ 01 જીલ્લામાંથી ચાંદીપુરા કુલ 37 કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત 124 કેસો પૈકી સાબરકાંઠા 02, અરવલ્લી 03, મહીસાગર 02, ખેડા 02, મહેસાણા 02, રાજકોટ 03, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન 04, ગાંધીનગર 02, પંચમહાલ 05, જામનગર 02, મોરબી 03, ગાંધીનગર કોર્પેરેશન 02, દાહોદ 02, વડોદરા 01, નર્મદા 01, બનાસકાંઠા 03, વડોદરા કોર્પેરેશન 01, દેવભૂમિ દ્વારકા 01, સુરત કોર્પોરેશન 01 તેમજ જામનગર કોર્પોરેશન 01 એમ કુલ 44 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે કુલ પાંચ દર્દીઓ દાખલ છે જેમાંથી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને ત્રણના રિપોર્ટ બાકી છે. બે દિવસ પૂર્વે રાજકોટના મોટામવામાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકીનું મોત થયું છે. બીજી તરફ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી હજુ પણ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વાળા બાળકો દાખલ થઈ રહ્યાં છે.
સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને સક્રિય કામગીરી શરૂ કરી છે જેમાં કુલ 4,96,676 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે કુલ 1,05,775 કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.કુલ 19,862 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1624 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
પુનાથી NIVની ટીમ ગુજરાત આવી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ચાંદીપુરા વાઈરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી 41 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે ત્યારે, આ રોગ ના ઉપદ્રવ અને તેના નિયંત્રણ બાબતે ચકાસણી માટે પુનાથી ગઈંટની બે ટીમ મેઘરજના ઢેકવા અને ભિલોડાના મોટા કંથારિયા ગામે આવી હતી.અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના ભિલોડાના મોટા કંથારિયા અને મેઘરજ તાલુકાના ઢેકવા ગામના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા લોહીના સેમ્પલ તેમજ સેન્ડ ફ્લાયના નમૂના લેવાયા હતા. ચાંદીપુરા વાઇરસના કેસ વધતાં અને જે સેમ્પલો પુણે મોકલવામાં આવતાં હતાં તેના રિપોર્ટ પરત આવવા ઘણો સમય લાગતો હોવાથી વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં જ થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.