અમદાવાદમાં વધુ એક અકસ્માત, નબીરાની થાર અડફેટે બાઇકસવાર કિશોરનું મૃત્યુ
અમદાવાદનો ઇસ્કોનબ્રિજ જાણે માલદાર પરીવારના નબીરાઓના રેસીંગ માટે બનાવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં જ તથ્થકાંડના ડાઘ હજી સૂકાયા નથી ત્યા વધુ એક નબીરાએ કાંડ કર્યો છે. થાર કારના ચાલક નબીરાએ બાઇક સવાર યુવકને હડફેટે લેતા ફંગોળાયેલા યુવકનું મોત નિપજયું હતું. છાશવારે બનતી ઘટનાથી બેફામ બનેલા નબીરાઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર અમદાવાદના સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી (ઉં.વ 17) મિત્રનું બાઈક લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે બેદરકારી ભરી રીતે હંકારી બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર મુકીને જ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જયદીપનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે.