13મીએ વડાપ્રધાન શ્રમિકો સાથે ઓનલાઈન જોડાશે
- સમરસ હોસ્ટેલ ખાતે 500 લાભાર્થીઓને સ્વરોજગાર યોજના હેઠળ લોનના ચેક અર્પણ કરાશે
લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વિકાસના કામોની સાથો મતદારોને રિઝવવા માટે એક પછી એક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે આગામી 13મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના શ્રમિકો સાથે ઓનલાઈન જોડાશે અને ત્યાર બાદ શ્રમિકોને સ્વરોજગાર યોજના હેઠળ લોનના ચેક અર્પણ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં વિકાસના કામોનો લોકાર્પણ થઈ રહ્યું છે. એક પછી એક વિકાસના કામોની લોકોને ભેટ મળી રહી છે. તાજેતરમાં જ રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીએ એઈમ્સ જેવી કરોડો રૂપિયાની સુવિધાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યુ હતું આ ઉપરાંત બેટદ્વારકા ખાતે આવેલ સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીના જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને રિઝવવા માટે આગામી તા. 13 માર્ચે દેશભરમાં શ્રમિકો સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે જોડાશે અને વાર્તાલાપ કરશે જ્યારે આ કાર્યકમમાં શ્રમિકોને સ્વરોજગાર યોજના હેઠળ મંજુર થયેલી લોનના ચેકો પણ અર્પણ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 13મી માર્ચે વડાપ્રધાન દેશના દરેક શ્રમિક વર્ગ સાથે જોડાવાના હોય જે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રાજકોટમાં સમરસ હોસ્ટેલ ખાતે સાંજે ચાર વાગ્યે 500 જેટલા શ્રમિકો ઓનલાઈન વડાપ્રધાન સાથે જોડાશે.
રાજકોટમાં 500 જેટલા શ્રમિકોએ સ્વરોજગાર હેઠળ લોન મેળવવા અરજી કરેલ છે જેમાં પછાતવર્ગ ઓબીસી, સફાઈકામદારો, સહિતના લાભાર્થીઓએ જુદા જુદા ધંધા માટે લોન મેળવવા અરજી કરી છે જેમાં રીક્ષા, ચર્મ ઉદ્યોગ, ટ્રેક્ટરના સાધનો વસાવવા સહિતની લોનો માટે શ્રમિકો દ્વારા અરજી કરાવમાં આવેલ હોય આ તમામ શ્રમિકોને સ્વરોજગાર યોજના હેઠળ મંજુર થયેલી લોનના ચેકો અર્પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.