નકલી... નકલી... નકલી: હવે નકલી કુટુંબ નિયોજનના ઓપરેશનનું કૌભાંડ
મહેસાણામાં સામે આવેલા કુટુંબ નિયોજન ઓપરેશનના કૌભાંડના એક બાદ એક પાના ખૂલી રહ્યા છે. 300 જેટલા કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડમાં 6 હેલ્થ વર્કર સહિત 16ના નામ ખુલ્યા છે..શું છે વસ્તી નિયંત્રણ માટે સ્વાસ્થ્ય વિભાગ કુટુંબ નિયોજનના જુદા જુદા કાર્યક્રમો ચલાવે છે. આરોગ્ય કેન્દ્રોમાં આ માટેના ઓપરેશન પણ કરવામાં આવે છે.
જો કે મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનની કામગીરીમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં આચરવામાં આવેલા કૌભાંડનો આંકડો સતત વધી રહ્યો છે.
સામે આવ્યું હતું કે 10 જેટલા મહિલા હેલ્થ વર્કર્સે 300 જેટલા ઓપરેશનનું કૌભાંડ આચર્યું છે, જો કે પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં 6 મહિલા હેલ્થ વર્કર સહિત 16 કર્મચારીઓના નામ સામે આવ્યા છે. ઓપરેશનનો બનાવટી આંક પણ વધીને 659નો થયો છે. આ તમામ આંકડા આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના છે.. કૌભાંડમાં સંડોવાયેલી તમામ મહિલા હેલ્થ વર્કર્સને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. કેમ કે આરોગ્ય કર્મીઓએ ઓપરેશનના જે આંકડા આપ્યા હતા, તેમાં કોઈ વ્યક્તિનું નામ જ નથી. એટલે કે ઓપરેશન કર્યા વિના જ ઓપરેશનના આંકડા આપી દેવાયા.
લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સામે આવેલું આ કૌભાંડ પોતાનામાં ઘણા સવાલ ઉભા કરે છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ફક્ત ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા જ કર્મચારીઓએ ખોટા આંકડા આપી દીધા. શું આ પ્રકારનું કૌભાંડ વ્યાપક છે. તાલુકા આરોગ્ય અધિકારીએ આ અંગેની શક્યતાને નકારી કાઢી નથી, પણ કુટુંબ નિયોજનની કામગીરીમાં આરોગ્ય વિભાગનો બચાવ જરૂૂર કર્યો છે.
હવે જોવું એ રહેશે કે આરોગ્ય વિભાગની તપાસમાં વધુ શું સામે આવે છે. આ બાબતે રાજ્ય વ્યાપી તપાસ થવી જરૂૂરી છે. જેમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.