રાજકોટના વધુ 15 બેંક ડિફોલ્ટર પાસેથી 10 કરોડ વસૂલવા નોટિસ
કોઠારિયા રોડ, મવડી વિસ્તારમાં લોન નહીં ભરતા આસામીઓની મિલકત જપ્ત કરાશે
રાજકોટ શહેર જિલ્લામાં બેંક માંથી લોન લીધા બાદ હપ્તા કે વ્યાજ નહીં ચુકવતાં લોનધારકો સામે જિલ્લા કલેકટરના આદેશથી તમામ મામલતદારો દ્વારા બેંક ડિફોલ્ટરો પાસેથી રિકવરી કરવાની ઝુંબેશ હાથ ધરી છે ત્યારે રાજકોટ શહેર દક્ષિણ મામલતદારે આજે વધુ 15 જેટલા લોન ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કરી 10 કરોડ જેવી માતબર રકમ બેંકમાં જમા કરાવો નહીંતર લોનધારકોની મિલકત ટાચમાં લેવામાં આવશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના મવડી રોડ, કોઠારીયા રોડ જેવા વિસ્તારમાં રહેતા અને રાજકોટ શહેરની એસબીઆઈ, રાજકોટ નાગરિક બેંક, પંજાબ નેશનલ બેંક સહિતની જુદા જુદી બેંકોમાંથી મિલકત મોર્ગેેજ કરી લોન ઉપાડયા બાદ હપ્તા કે વ્યાજ નહીં ચુકવતાં આસામીઓની આખરી યાદી બેંક દ્વારા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી હતી.
રાજકોટનાં કોઠારીયા રોડ અને મવડી રોડ વિસ્તારનાં 15 જેટલા આસામીઓ પાસેથી બેંક લોન પેટે 10 કરોડ જેવી રકમ વસૂલવાની બાકી હોય આ તમામ આસામીઓને આખરી નોટિસ ફટકારવામાં આવી છે અને જો લોનની રકમ નહીં ભરે તો આગામી દિવસોમાં આ તમામ લોન ધારકોની મોર્ગેજ કરેલી મિલકત મકાન, ફલેટ, દુકાન જપ્ત કરવામાં આવશે તેમ દક્ષિણ મામલતદાર કાકડીયાએ જણાવ્યું હતું.