ચમત્કાર વગર નમસ્કાર નહીં, નોટિસ ફટકારતા બિલ્ડરે સ્વેચ્છાએ દબાણ હટાવ્યું
ગંગોત્રીપાર્ક મેઈન રોડ પર બિલ્ડરે સરકારી જમીનમાં સાઈટ ઓફિસ બનાવી નાખી’તી: 50 લાખની જમીન ખુલ્લી થઈ
રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનો પર મોટાપાયે કોમર્શીયલ દબાણો થઈ ગયા છે ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સુચનાથી સરકારી જમીનમાં થયેલા કોમર્શીયલ દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ચમત્કાર વગર નમસ્કાર નહીં તેવી ઉક્તિને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રૈયા વિસ્તારમાં આવેલ સરકારી ખરાબામાં સાઈટ ઓફિસ બનાવી નાખનાર બિલ્ડરને નોટીસ ફટકારતા ડિમોલીશન થાય તે પહેલા જ સ્વેચ્છાએ બિલ્ડરે દબાણ દૂર કરી 50 લાખની જમીન ખુલ્લીકરી દીધી હતી.
રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા કોમર્શીયલ બાંધકામો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ ગંગોત્રી પાર્ક મેઈન રોડ ઉપર રૈયા સર્વે નં. 318 પૈકીની સરકારી જમીનમાં બિલ્ડરે સાઈટ ઓફિસ બનાવી નાખી બાજુમાં આવેલા પ્લોટમાં એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ કરી દીધું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું.
પશ્ર્ચિમ મામલતદાર યોગેશ શુકલા અને નાયબ મામલતદાર મહિધરસિંહ ઝાલાએ સ્થળ અંગે તપાસ કર્યા બાદ સરકારી ખરાબામાં સાઈટ ઓફિસ બનાવનાર બિલ્ડરને ગત તા. 4-7-24ના નોટીસ ફટકારી દબાણ દૂર કરવા આદેશ આપ્યો હતો. પૂર્વ મામલતદારની નોટીસ મળતા જ ડિમોલીશન થાય તે પહેલા જ બિલ્ડરે સરકારી જમીનમાં કરેલું દબાણ સ્વેચ્છાએ દૂર કરી રૂા. 50 લાખની કિંમતની 5000 ચો.મી. જમીન ખુલ્લી કરી દીધી હતી.