સાંઢિયા પુલનું કામ કરવા કોઈ તૈયાર નથી: રિ-ટેન્ડર
- સર્વિસ રોડનો ઈસ્યુ અને રેલવે વિભાગના કડવા અનુભવના કારણે 20 ટકા ઊંચા ભાવ આવતા કોર્પોરેશન અકળાયું
રાજકોટ શહેરને જામનગર રોડ સાથે જોડતા સાંઢિયાપુલ નવો બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. પરંતુ સાંઢિયાપૂલ બનાવવાની કાર્યવાહી દરમિયાન અનેક અવરોધોનો સામનો તંત્રએ કરવો પડ્યો છે અને અંતે ટેન્ડર બહાર પાડવામાં આવેલ જેના કારણે ટુંક સમયમાં સાંઢિયાપુલનું કામ શરૂ થઈ જશે તેવું લાગતું હતું પરંતુ ટેન્ડરની મુદત પૂર્ણ થતા ત્રણ એજન્સીએ ટેન્ડર ભરેલ જેમાં સૌથી ઓછાભાવનું ટેન્ડર પણ 19.81 ટકા ઓનથી આવતા તંત્ર ચોકી ઉઠ્યું હતું અને ફરીખત રી-ટેન્ડર કરવાની ફરજ પડી છે. આમ પહેલેથી જ વગોવાય ગયેલ સાંઢિયાપુલનું કામ રાખવા પણ એજન્સીઓ તૈયાર નથી તેવું ઓન ટેન્ડર ઉપરથી સાબિત થયું છે.
જામનગર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ રાજાસાહી વખતનો સાંઢિયાપુલ જર્જરીત થતાં તંત્ર દ્વારા ભારે વાહનોને પુલ ઉપર પ્રવેશબંધી કરાવી દીધી છે. પરંતુ નાના વાહનો આજે પણ આ પુલ ઉપર દોડી રહ્યા છે. અને પુલ ગમે ત્યારે ઢળી પડે તેવી સ્થિતિ હોવાથી મહાનગરપાલિકાએ નવો ફોરલેન ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ તેની ડિઝાઈન તૈયાર કરી હતી અને રેલવે વિભાગ પાસે મંજુરી માગેલ ત્યારે પૂલ બનાવવાની સંપૂર્ણ જવાબદારી રેલવે વિભાગ લેશે અને આ મુજબના પૈસા પણ કોર્પોરેશને ભરી આપેલા એન ત્યાર બાદ ત્રણત્રણ વખત ડિઝાઈન ફાઈનલ થયા બાદ અંતે સાંઢિયાપુલ રૂા. 53 કરોડના ખર્ચે તૈયાર કરવા માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ સાંઢિયાપુલની બન્ને સાઈડ સર્વિસ રોડ માટે રજવાડી જમીનનો મુદ્દો ઉભો થતા કોર્પોરેશને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટનું શસ્ત્ર ઉગામી બળજબરીથી જગ્યા સંપાદન કરવાનો નિર્ણય લીધો હતો. જેની સામે રાજવી પરિવારે પણ નારાજગી વ્યક્ત કરી હતી છતાં કોર્પોરેશને સાંઢિયાપુલનું ટેન્ડર બહાર પાડી દીધેલ પરંતુ એજન્સીઓએ પણ આ મુદદ્દાને ગંભીરતાથી લઈ તેમજ રેલવે વિભાગ સાથે અગાઉ થયેલા કડવા અનુભવને ધ્યાને લઈ કામમાં વધુ સમય લાગે અને લાખના બાર હજાર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ઓનથી ટેન્ડર ભરવાનો નિર્ણય લીધો હતો ટેન્ડરની મુદત પૂર્ણ થતા ત્રણ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ ભાવ મુજબ સૌથી ઓછાભાવ ભરનાર એજન્સીએ પણ 19.81 ટકા ઓનથી ભાવ ભરેલ આથી 53 કરોડના ખર્ચે તૈયાર થનાર સાંઢિયાપુલની પોસ્ટ 68 લાખ સુધી પહોંચી જવાની સંભાવના થતી હોય ટેન્ડર રદ કરી રી-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી રેલવે સાથે સહિયારા કામોમાં ફરી વકત એજન્સીઓએ કામ ન કરવું હોય તે રીતે ઓનથી ટેન્ડર ભરવાનું મુનાસીપ સમજ્યું છે. પરિણામે હવે સાંઢિયાપુલનું કોકડુ ફરીવખત ગુચવાયું છે.
રેલવેના કામમાં જ વિઘ્ન કેમ આવે છે
મહાનગરપાલિકાએ જામનગર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપર જૂના પૂલના સ્થાને નવો સાંઢિયાપુલ બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ રેલવે વિભાગ સાથે કામ કરવાનું હોય એજન્સીએ કામ ન કરવું પડે તે રીતનું ઓનથી ટેન્ડર ભર્યુ છે. આથી અધિકારીઓમાં પણ ગણગણાટ શરૂ થયું છે કે અગાઉ પણ રેલવે સાથે કરેલા કમોમાં અનેક વિઘ્ન આવ્યા છે અને રેલવે વિભાગનું તમામ કામ મુંબઈ વડી કચેરીએ થતું હોય તેમજ સ્થાનિક અધિકારીઓના સંકલનના અભાવે રેલવે સાથે સહયોમાં થતા કામોમાં વિલંબ થતો હોય છે તેમજ આ કામો મનપાને મોંઘા પણ પડી રહ્યા છે. આથી રેલવેના કામમાં જ વિઘ્ન કેમ આવે છે તે બાબતે ફરી વખત ચર્ચા શરૂ થઈ છે.