મનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોત
કોન્ટ્રાકટર સામે પેનલ્ટી ફટકારવા અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે : ચેરમેન જયમિન ઠાકર
કોન્ટ્રાકટર દ્વારા ચાર-પાંચ મહિનાથી વોંકળાનું કામ અધૂરૂ મુકી દીધાનો સ્થાનિકોનો આક્ષેપ
રાજકોટમાં ખુલ્લા વોકળામાં એક યુવક પડતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,તો સમગ્ર ઘટનામાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,કોન્ટ્રાકટર દ્વારા કામ અધુરૂૂ છોડી દેતા આ ઘટના બની હોવાની વાત છે. તો કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાય તેવી પરિવારજનોની માગ છે.
વધુ વિગતો મુજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 7માં આવેલા વોંકળામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ સર્જીલ સોલંકી છે અને તે ગવલી વાડમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રાત્રિના સમયે વોંકળામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.રાત્રિના સમયે યુવક વોકળામાં પડયો હોય તેવી શકયતાઓ સેવાઈ રહી છે, પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસ શરૂૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો.
મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી વોકળાનું કામ અધૂરું રાખ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે,આ કામગીરી કયારે પૂર્ણ થશે તેની કોઈ માહિતી નથી.પરંતુ આવી બેદરકારીના કારણે આજે એકનો જીવ ગયો છે અને કાલે બીજાનો જીવ જશે ત્યાં સુધી તંત્ર કઈ કામગીરી કરવા માગતી નથી કે શું તે સમજાતુ નથી, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વોકળાની કામગીરી કયારે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે, મૃતક યુવાનના પરિજનોને તંત્ર કોઈ મદદ કરશે કે નહી તે જોવાનું રહ્યું. ત્યારે આ દુ:ખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને કડક પગલાં પણ લેવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.