મોરબીના બગથળા પાસે પ્રેમીપંખીડાંએ સજોડે ઝેર પી જાત જલાવી: પરિણીતાનું મોત
મોરબીના ભડીયાદ ગામે રહેતા પરિણીત પ્રેમીપંખીડાએ બગથળા ગામ પાસે સજોડે ઝેરી દવા પી જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિણીત પ્રેમીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના ભડીયાદ ગામે રહેતા જયોતીન્દ્ર રજનીકાંતભાઈ નાગર નામના 24 વર્ષનો યુવાન બગથડા ગામ પાસે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં પોતાની જાતે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા જયોતીન્દ્ર નાગરને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિલટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં જયોતીન્દ્ર નાગર બે ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જયોતીન્દ્રનાગર પાણીના કેરબાની બોલેરો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની નિકીતાબેન છેલ્લા એક મહિનાથી માવતરે ગઈ હતી. જયોતીન્દ્ર નાગરને ભડીયાદ ગામના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી સંગીતાબેન દેવભાઈ પરમાર નામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે પરિણીત પ્રેમી પંખીડાએ સજોડે ઝેરી દવા પી જાત જલાવી લીધી હતી. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે પ્રેમીકા સંગીતા પરમારે જાત જલાવી જયોતીન્દ્ર નાગરને બથ ભરી લેતાં જયોતીન્દ્ર નાગર દાઝીયો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.