મોરબી રોડ ઉપર નવોઢાનો ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા સેટેલાઈટ ચોકમાં આસ્થા સોસાયટીમાં રહેતી નવોઢાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલી આસ્થા સોસાયટીમાં રહેતી ચાંદનીબેન જયદીપભાઇ વાજા નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચાંદનીબેન વાજા રાજકોટ તાલુકાના બારવણ ગામે માવતર ધરાવતી હતી. અને બે ભાઈ ત્રણ બહેનમાં મોટી હતી ચાંદનીબેનના પાંચ મહિના પૂર્વે જ જયદીપ વાજા સાથે લગ્ન થયા હતા અને ચાંદનીબેને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી નવોઢાના આપઘાત પાછળનું કારણ જાણવા કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.