અમરેલી લેટરકાંડના સીધી લીટીના આરોપી નારણભાઈ કાછડિયા: નાથાલાલે બોંબ ફોડયો
અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ-ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયાએ પણ સનસનીખેજ આક્ષેપ કર્યો છે.નાથાલાલ સુખડીયાએ તો નારણ કાછડીયા પર ગંભીર આરોપ લગાવી જેલમાં મોકલવાની પણ વાત કરી દીધી છે.
સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયાએ કાછડીયા પર આક્ષેપ મૂકતા કહ્યું કે, કાઠડીયાએ આખો લેટર વાંચવો જોઈએ. જે-તે જવાબદાર વ્યક્તિએ લેટર રત્નાકર પાટીલને મોકલ્યો હતો. હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે, આ લેટરકાંડ સર્જનાર ખુદ નારણ કાછડીયા જ છે. આવા કાવતરાબાજ નેતાઓએ છોકરાઓ પાસે કૃત્ય કરાવ્યું છે, આવા લોકોને તો જેલમાં મોકલી દેવા જોઈએ. નારણ કાછડીયા તો સીધી લીટીના આરોપાી છે અને તેમનું વર્તન પણ આરોપી જેવું છે. પોલીસે તેની સામે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવી જોઈએ. નોંધનીય છે કે, અમરેલીના લેટરકાંડના મુદ્દે અમરેલી ભાજપની સિનિયર નેતાગીરીએ પણ પ્રદેશ ભાજપના નેતા અને રાજ્ય સરકારને આ પત્ર કોણે લખાવ્યો તે શોધવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. દિલિપ સંઘાણીએ પણ આ કેસની પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટના જજ મારફત તપાસ કરાવવા અને પોતાના અને ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટ કરાવવાની ખુલ્લી માંગણી કરી હતી.
બીજી તરફ નારણ કાછડીયાએ એક વિડીયો નિવેદનમાં જણાવ્યું કે એક યુવતીને પટ્ટે પટ્ટે મારવામાં આવી છે તે લેશમાત્ર ક્ષમ્ય નથી. દિલિપ સંઘાણી જ્યારે અમરેલીના આજના નેતાનો જન્મ નહોતો ત્યારે સર્વેસર્વા હતા અને ગુજરાત ભાજપના મોટા નેતા છે તેમની વાત સાથે પુરો સહમત છું. પોલીસે કોના કહેવાથી મનીષની અમારા નામ બોલાવવા મારકૂટ કરી તે શોધીને બહાર લાવવું જોઈએ જે માટે નાર્કો ટેસ્ટ આપવા હું પણ સંમત છું. પોલીસ અધિકારીઓ, આરોપી, ફરિયાદીની કોલ ડિટેલ કઢાવે તો પણ સત્ય શું તે ખબર પડી જશે.