રાજકોટના મેળાનું ‘ધરોહર લોકમેળો’ નામકરણ, પાંચ દિવસ જલ્સા જલ્સા
રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર પાંચ દિવસના લોકમેળાનું આયોજન ધીરેધીરે પાટે ચડી રહ્યું છે. યાંત્રિક રાઇડસનો વિવાદ થાળે પડયો છે અને ખાનગી મેળા ચલાવતા એક ગૃપે જ રૂા.1.27 કરોડમાં 31 પ્લોટ રાખી લીધા છે.
જો કે, આઇસ્ક્રીમના ધંધાર્થીઓ ગઇકાલે સ્ટોલની હરરાજીમાં ભાગ લેવા નહીં આવતા આઇસ્ક્રીમના સ્ટોલનો વિવાદ યથાવત રહ્યો છે. પરંતુ યાંત્રિક રાઇડસના તમામ પ્લોટ વેંચાઇ જતા હવે આઇસ્ક્રમીના ધંધાર્થીઓએ પણ વલણ બદલ્યુ છે અને હરરાજી થાય તો સ્ટોલ ખરીદવા તૈયાર થઇ ગયાનું જાણવા મળે છે.
બીજી તરફ રાજકોટનાં લોકમેળાનું નામ ‘ધરોહર લોકમેળો’ રાખવાની કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
લોકમેળાના નામ માટે લોકમેળા સમિતિ દ્વારા લોકો પાસેથી સુચનો માંગવામાં આવ્યા હતા. જે અંતર્ગત અનેક નામો લોકો દ્વારા સુચવવામાં આવ્યા હતા. આ પૈકી ‘ધરોહર’ નામ પસંદ કરવામાં આવ્યું છે અને આ વર્ષે લોકમેળાનું નામ ‘ધરોહર લોકમેળો’ રાખવામાં આવ્યું છે.
આ વર્ષે ફાયર સેફટીના નિયમોના કારણે સ્ટોલની સંખ્યા પણ 30 ટકા ઘટાડી નાખવામાં આવી હોવાથી લોકોને મેળામાં મહાલવામાન પણ મોકળાશ મળી રહેશે.