For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણ, સંસ્કાર અને સ્મિતનું સરનામું એટલે ‘મુસ્કાન’

10:58 AM Apr 23, 2025 IST | Bhumika
શિક્ષણ  સંસ્કાર અને સ્મિતનું સરનામું એટલે ‘મુસ્કાન’

અનેક સંઘર્ષો અને તકલીફો વેઠીને માલાબેન શાહે ઝૂંપડપટ્ટીના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જલાવી છે

Advertisement

ઝૂંપડપટ્ટીના બાળકોને ‘મુસ્કાન’ આપે છે સ્મિત સાથે સર્વાંગી વિકાસ અને સ્વમાનભર્યું જીવન: માલા જીગેશ શાહ

સાંજનો સમય છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની ઝૂંપડપટ્ટી નજીક પતરાના શેડમાં રોજની જેમ બાળકો ભણવા માટે આવે છે.દરેક તહેવારની ઉજવણીની જેમ ક્રિસમસની ઉજવણીની તૈયારી ચાલુ હતી.પાંચથી દસ ધોરણમાં ભણતા દીકરા દીકરીઓ પોતાના માતા સમાન એ મહિલાને વચ્ચે બેસાડે છે.એ મહિલાના આશ્ચર્ય વચ્ચે બાળકો તેણીને ઉદ્દેશીને એક ફિલ્મ ગીત પર ડાન્સ કરે છે . ગીતના શબ્દો હતા તુજ મે રબ દિખતા હૈ યારા મૈં કયા કરૂ.... મહિલાની આંખોમાંથી ખુશીના અશ્રુની ધારા વહે છે. મોં પર સફળતાનું સ્મિત આવી જાય છે અને મનમાં વિચારે છે કે છેલ્લા દોઢ દાયકાથી પોતે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ઉઠાવેલ જહેમત સફળ થઈ છે.વાતાવરણ લાગણીભીનું થઈ જાય છે. આ મહિલા એટલે અમદાવાદના મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી માલાબેન શાહ. જેમણે અનેક પ્રયત્નો,સંઘર્ષો અને તકલીફો વેઠીને ઝૂંપડપટ્ટીના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જલાવી છે, ગરીબી અને લાચારીના બદલે ખુમારી અને સ્વમાનભેર જિંદગી જીવતા શીખવ્યું છે.

Advertisement

તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો. પિતા હરિકૃષ્ણભાઈ દેસાઈ ડોક્ટર અને માતા ઉર્મિલાબેન દેસાઈ પણ સંસ્કૃત સાથે એમ.એ. ભણેલા તેથી શિક્ષણનું જીવનમાં મહત્ત્વનું સ્થાન રહ્યું.શાળાકીય અભ્યાસ શારદા મંદિર તથા કોલેજનો અભ્યાસ એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાં કર્યો.એલએલબીના અભ્યાસ દરમિયાન લગ્ન થયા જેથી વકીલ બનવાનું સ્વપ્ન અધૂરું જ રહ્યું. લગ્ન પછી દીકરી-દીકરાનો જન્મ થયો. પરિવાર અને બાળકોની જવાબદારીમાં ગૂંથાઈ ગયા.

આ બધા વચ્ચે પોતાની મનગમતી સેવાની પ્રવૃત્તિ કરવાનો વિચાર ક્યાંક ઝબકી જતો, પરંતુ શું કરવું? કેવી રીતે કરવું? એ બધા પ્રશ્નો નીરુત્તર હતા.થોડા વર્ષો બાદ વડ સાસુનું અવસાન થતાં તેની પાછળ કંઈક દાન,સત્કાર્ય કરવાના વિચાર સાથે હેલ્પલાઇન ટ્રસ્ટમાં સંપર્ક થયો જ્યાં મહેશભાઈ દેસાઈ બાળકોને નિ:શુલ્ક ભણાવતા અને તેમને આગળ લાવવા પ્રવૃત્તિ કરતા.પતિ સાથે ત્યાં ગયા અને પ્રવૃત્તિ જોઈને અઠવાડિયામાં એક વખત પોતે સેવા આપવા આવશે એવું કમિટમેન્ટ કર્યું.પોતાના બાળકો શાળાએ જાય ત્યારે ઘરના બધા જ કામ પતાવીને તેઓ સેવા આપવા જતાં.ધીમે ધીમે અઠવાડિયામાં બે દિવસ, ત્રણ દિવસ અને પછી નિયમિત જવા લાગ્યા. સંસ્થાની વિવિધ જવાબદારીઓ પણ સંભાળતા ગયા આમ આઠ વર્ષ સુધી તેઓએ કાર્ય કર્યું ત્યારબાદ 2019માં ઘાટલોડિયા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં શિક્ષણની જરૂૂરિયાત લાગતા ત્યાં શરૂૂઆત કરવાનો વિચાર આવ્યો.પ્રશ્નો અનેક હતા પરંતુ પરિશ્રમથી હલ કરવાના હતા.જગ્યા મળશે કે કેમ? જગ્યા મળે તો બાળકો આવશે કે કેમ? બાળકો આવે તો તેને શિક્ષણ આપવા તેમજ તેની જરૂૂરિયાતની વસ્તુઓ કઈ રીતે મેળવવી? આવા અનેક પ્રશ્નો હતા, જવાબો નહોતા પરંતુ જવાબોના વિકલ્પરૂૂપ માલાબહેનનો આત્મવિશ્વાસ અને મક્કમ ઇરાદો હતો.આવા ઇરાદા સામે ઇશ્વરે પણ ઝૂકવું પડે છે. કોર્પોરેશનની જગ્યા મળી પતરાનો શેડ બનાવ્યો અને પહેલા જ દિવસે 15 બાળકો ભણવા આવ્યા જે તેમના માટે ખુશીની વાત હતી. કોર્પોરેશનની શાળામાં જતા પરંતુ માર્ગદર્શનના અભાવે શાળા છોડી જાય એવા બાળકોને માલાબેન દરેક પ્રકારે મદદરૂૂપ થતા. શરૂૂના દિવસોમાં પોતે જ બાળકોને ભણાવતા ત્યારબાદ બાળકોની સંખ્યા વધતા તેઓએ બીજો શેડ બનાવ્યો, ટીચર્સને પણ રાખ્યા . શિક્ષકોનો પગાર તેમજ અન્ય ખર્ચને પહોંચી વળવા માટે ફંડ પણ આવતું ગયું એટલે હિંમત પણ વધી. માલાબેનના જીવનની દરેક સાંજ આ બાળકો વચ્ચે જ વીતતી હોય છે ભણાવવા માટે શિક્ષકો રાખે છે છતાં કોઈ પ્રશ્ન હોય, કોઈ ગેસ્ટ હોય અથવા તો કોઈને મળવું હોય તો માલાબેન ત્યાં જ મળે છે.

દીકરીના લગ્ન થઈ ગયા છે અને ઘરમાં સાસુ સસરા પતિ અને દીકરાની જવાબદારી સંભાળવા સાથે આ પ્રવૃત્તિ કરે છે. સાંજે 6:30 એ કામ પૂરું કરી શાકભાજી, જરૂૂરિયાતનો સામાન લઈ ઘરે આવે છે અને જમવાના સમયે પહોંચી જાય છે. પોતાની આ પ્રવૃત્તિના કારણે પરિવારને અગવડ ન પડે તેનો ખાસ ખ્યાલ રાખે છે.છેલ્લા દોઢ દાયકામાં અનેક ચઢાવ ઉતાર જોનાર માલાબેન જણાવે છે કે માતાનું અવસાન થતા પપ્પાની જવાબદારી પણ સંભાળવાની છે, બધા જ વડીલો 80 પ્લસ છે એટલે કાળજી રાખવી પડે છે પરંતુ હવે દીકરો-દીકરી મોટા થતા તેઓ પણ આ પ્રવૃત્તિમાં મદદ કરે છે. ‘નોકરી કરવી અને સેવા માટે ઘરની બહાર જવું બંને અલગ બાબત છે પણ ભગવાનની કૃપા અને પરિવાર તથા પતિના સહયોગના કારણે આજે મુસ્કાન બાળકોના મોં પર સ્મિત લાવવામાં સફળ થયું છે.’ મુસ્કાનની ટેગ લાઈન છે ‘લેટ સ્પ્રેડ ધ સ્માઈલ’ એટલે કે ચાલો સ્મિત પ્રસરાવીએ. વધુમાં વધુ બાળકોના મોં પર સ્મિત પ્રસરાવવાનું તથા છેલ્લા શ્વાસ સુધી સેવા કરી આ જીવનને સાર્થક બનાવવાનું તેમનું સ્વપ્ન છે માલા બેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પહેલું પગલું મુશ્કેલ હોય છે
મહિલાઓને સંદેશ આપતા માલાબેને જણાવ્યું કે કંઈ પણ કરવાનું વિચારશો ત્યારે અમુક લોકો પ્રશંસા કરશે અને અમુક લોકો ટીકા કરશે. આમ છતાં આપણને જે યોગ્ય લાગે તે કરતા રહેવું જોઈએ. પહેલું પગલું ખૂબ મુશ્કેલ હોય છે પછી આપણું કામ જ બોલતું હોય છે. સમાજસેવાનું ક્ષેત્ર એવું છે કે જ્યાં તમને આનંદ અને આત્મસંતોષ સિવાય કશું મળવાનું નથી.લાંબા સમય સુધી આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે માનસિક મનોબળ આવશ્યક છે આ ઉપરાંત ક્યારે કઈ પરિસ્થિતિ ઊભી થશે તે નક્કી નથી હોતું માટે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે.

અહીં મળે છે શિક્ષણ સાથે સંસ્કાર અને સ્મિત
અહીં બાળકોને તેઓ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપે છે. માલાબેન જણાવે છે કે ભણવા સાથે છોકરાઓને ચોરી ન કરવી, વ્યસન ન કરવું વગેરે સમજાવીએ છીએ તો દીકરીઓ માટે વેકેશનમાં નિ:શુલ્ક બ્યુટી પાર્લર જેવા ક્લાસ કરાવીએ છીએ જેથી દીકરીઓ પગભર થાય. દરેક બાળકમાં કોઈને કોઈ આવડત હોય જ છે આ આવડતને બહાર લાવવા માટે જુદા જુદા વર્ગો કરાવીએ છીએ, જેમાં ડ્રોઈંગ,કમ્પ્યુટર ક્લાસ તેમજ ડાન્સ વગેરે પણ શીખવીએ છીએ. બાળકોને લઈને આકાશવાણીમાં કાર્યક્રમ આપવા માટે જઈએ છીએ. ડ્રોઈંગમાં એક દીકરીએ રાજ્યકક્ષાએ ઇનામ મેળવ્યું છે. અમુક બાળકો એમબીએ સુધી પહોંચ્યા છે તો અમુક વકીલ પણ બન્યા છે.15 છોકરાઓ થી શરૂૂ કરેલ આ યાત્રા આજે 150 સુધી પહોંચી છે ત્યારે જીવન સાર્થક કર્યાનો સંતોષ છે. બાળકો જેમ મોટા થાય છે તેમ તેઓને ખ્યાલ આવે છે કે અમે તેમના માટે શું કર્યું છે. તેઓ પણ ખૂબ મહેનત કરે છે અને કંઈક બનવા કમર કસે છે.એક સમયે શાળાનો ડ્રોપ આઉટ રેશિયો 50 થી 60 ટકા હતો જે અત્યારે બે ટકા થયો છે. બાળકોમાં સામાજિક જાગૃતિ આવે તે માટે તેઓ પાસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે પણ કરાવવામાં આવે છે તેમજ સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન થાય છે.બાળકોને સ્કૂલબેગ, કંપાસ, વોટર બેગ, લંચ બોક્સ સાથે બે ટીશર્ટ અને જરૂૂરિયાત મુજબ સ્ટેશનરી વગેરેની એક કિટ આપવામાં આવે છે. બાળકો હોંશે હોંશે અહીં આવે છે.જાતે જ સફાઈ કરી પ્રાર્થના સાથે વર્ગો શરૂૂ થાય છે તેમજ રાષ્ટ્રગીત સાથે સમાપ્તિ થાય છે.

Written By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement