મનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશે
ભાજપના 12 કોર્પોરેટરોના 19 પ્રશ્ર્ન અને કોંગ્રેસના 1 કોર્પોરેટરે ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા
મોટામૌવા ટીપી સ્કીમ નં. 44નો ઈરાદો જાહેર કરેલ જેને જનરલ બોર્ડમાં મંજૂરી આપી સરકારમાં મોકલાશે
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 20ના રોજ મળનાર છે. પ્રશ્ર્નોતરી દરમિયાન ભાજપના 12 કોર્પોરેટર દ્વારા 19 પ્રશ્ર્નો અને કોંગ્રેસના એક કોર્પોરેટર દ્વારા ત્રણ પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર રસિલાબેન સાકરિયાનો છે જ્યારે વિપક્ષના કોર્પોરેટર કોમલબોન ભારાઈનો ચોથો પ્રશ્ર્ન હોય તેના પ્રશ્ર્નનો જવાબ બોર્ડમાં મળે તેવી શક્યતા નહીવત છે છતાં વિપક્ષ દ્વારા મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારો બાદ સ્ટાફમાં નવી ભરતી અને સીટીબસના ડ્રાયવરો તેમજ એજન્સીને શું દંડ કરવામાં આવ્યો તે સહિતના મુદ્દે શાસકપક્ષને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે.
મનપાના આગામી જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ અલગ અલગ પ્રોજેક્ટ તેમજ અન્ય પ્રકારની 11 દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેમાં તમામ ટીપી સ્કીમોનો પરામર્શ અંગેની તેમજ એક ટીપી સ્કીમને મંજુરી માટેની રજૂ કરાય છે જ્યારે પ્રશ્ર્નોતરી માટે ભાજપના 12 કોર્પોરેટર દ્વારા 19 પ્રશ્ર્નો તેમજ કોંગ્રેસના એક કોર્પોરેટર દ્વારા ત્રણ પ્રશ્ર્નો સહિત કુલ 22 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર રસિલાબેન સાકરિયા હોવાના કારણે એક પ્રશ્ર્નના જવાબમાં જ બોર્ડનો સમય દર વખથની માફક પુરો થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે. જેની સામે કોંગ્રેસના કોર્પોેટર કોમલબેન ભારાઈ દ્વારા ચોથો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે. જે મુજબ મહાનગરપાલિકામાં છેલ્લા 15 વર્ષ દરમિયાન ઘણા ગામો મનપાની હદમાં ભેળવવામાં આવ્યા છે. તો તેના માટે કેટલા સ્ટાફની નવી ભરતી કરાવામાં આવી અને ભરતી કરેલ હોય તો ક્યા ક્યા વોર્ડમાં તેમજ શાખા વાઈઝ ભરતી કરાઈ તે સહિતની વિગત માંગવામાં આવી છે. જ્યારે પેટા પ્રશ્ર્નમાં મનપા દ્વારા ચાલતી સીટીબસોમાં તા. 1-1-24થી અત્યાર સુધીમાં કેટલી સીટીબસ કાર્યરત હતી તેમજ કેટલા ડ્રાઈવરો હતા તેની માહિતી તથા સીટીબસનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવ્યો છે.
તેમાં ડ્રાઈવરની ઉંમરનો કોઈ ઉલ્લેખ કરાયો છે કે કેમ તેમજ ડ્રાયવરનું લાયસન્સ પુરુ થઈ ગયું હોય અને કાર્યરત ન હોય તેમને શું દંડ અથવા સજા કરવામાં આવી તેમજ ડ્રાઈવરોની ભરતી ક્યા નિયમોને આધારે કરવામાં આવે છે અને ગારબેજ કલેક્શન માટે ટીપરવાન વોર્ડવાઈઝ કેટલી ફાળવવામાં આવી છે તેમજ ક્યા પ્રકારની ગાડીઓનો સમાવેશ થાય છે તે સહિતના મુદ્દે શાસકપક્ષને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવે તેવુ લાગી રહ્યું છે.
જનરલ બોર્ડમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે જેમાં પ્રારંભીક નગર યોજના પરામર્શ તેમજ વોર્ડ નં. 5 માં વોર્ડ ઓફિસ દ્વારા ચોકને રંગીલા હનુમાનજી ચોક નામકરણ તેમજ બસ ટર્મિનસના હેતુ માથી રહેણાકના વેચાણ હેતુ માટે જમીનનો હેતુફેર કરવા અંગેની અને મોટામૌવા ટીપી સ્કીમ નં. 44 નો ઈરાદો જાહેર કરેલ છે તેને મંજુરી આપવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
પ્રશ્ર્નોત્તરીની વિગત
કોર્પોરેટરનું નામ પ્રશ્ર્ન
રસિલાબેન સાકરિયા 2
કંચનબેન સિદ્ધપુરા 2
જયશ્રીબેન ચાવડા 1
કોમલબેન ભારાઈ 3
દિલીપભાઈ લુણાગરિયા 2
નિતિનભાઈ રામાણી 2
ડો. દર્શનાબેન પંડ્યા 1
ચેતનભાઈ સુરેજા 2
અલ્પનાબેન દવે 1
કંકુબેન ઉધરેજા 1
મીનાબા જાડેજા 1
સંજયસિંહ રાણા 2
ડો. અલ્પેશભાઈ મોઝરિયા 2
કુલ પ્રશ્ર્નો 22