ગુજરાતમાં કાલે 1.50 કરોડથી વધુ લોકો કરશે યોગા
18226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો સહિત રાજ્યભરમાં વિશાળ આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરમાં કરશે યોગ
11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025, શનિવારના રોજ વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં 21મી જુને સવારે 6:00 કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાનના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં 177 દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી 21મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે.
તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં 2015થી 21મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે 11મો યોગદિવસ ઉજવાશે. વડાપ્રધાન મોદી આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.
તા. 21મી જૂન 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે 1 કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.
યોગ દિવસ-2025ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે 1 હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના 35થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો 21મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુસર તા.15 થી 20 જૂન દરમિયાન દરેક જિલ્લાઓમાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ 11 આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂૂપે યોજવામાં આવ્યા હતા.
18,226 ગ્રામ પંચાયતો અને 251 તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે 10.40 લાખ લોકોને જોડવાનું આયોજન છે. શાળા કોલેજોના છાત્રો પણ આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે 45 હજાર પ્રાથમિક શાળાઓ, 12,500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 2600 કોલેજ અને 3 યુનિવર્સિટી મળી 60,100 સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે 5.73 લાખ લોકો યોગમય બનશે.
ભુજંગાસનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
રાજ્યની 287 ઔદ્યોગિક તાલીમ સંસ્થા, 1477 પી.એચ.સી., 6500 વેલનેસ સેન્ટર્સ, 30 જેલ, 33 પોલીસ હેડક્વાટર્સ અને 1152 પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં 100 જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે. ગુજરાતે ગત વર્ષે 10મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં 1 કરોડ 31 લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.