ભર ઉનાળે ચોમાસુ જામ્યુ, 119 તાલુકામાં 0॥થી 4 ઈંચ વરસાદ
સતત ત્રીજા દિવસે 191 તાલુકામાં માવઠાની હાજરી, અનેક સ્થળે તોફાની પવન પણ ફૂંકાયો, ખેડુતોને મોટો ફટકો
ગુજરાત ઉપર સર્જાયેલ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ચોમાસુ જામ્યુ છે. જેના લીધે રાજ્યના 119 તાલુકાઓમાં અડધાથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં તેમજ ભારે પવન ફુંકાતા વ્યાપક નુક્શાની થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે આણંદના ખંભાતમાં 4 ઈંચ, ભાવનગર 3, વડોદરા 2॥, વંથલી 2॥, નડિયાદ 2॥, જામજોધપુર 2, તારાપુર 2, બગસરા, માંગરોળ 1॥।, જૂનાગઢ, ભેસાણ, સાવરકુંડલા, તાલાલા, જૂનાગઢ સીટી, ધોરાજી, ગોધરા, પાલનપુર, ભરૂચ સહિતના પંથકમાં 1॥ ઈંચ તેમજ ધારી, જાફરાબાદ, અંકલેશ્ર્વર, કલોલ, કોડીનાર, પાદરામાં 1 ઈંચ અને વલસાડ, ચોટીલા, જામકંડોરણા, કેશોદ, માળિયા હાટીના, ઉપલેટા, મહુવા, ભૂજ, જેતપુર સહિતના શહેર અને પંથકમાં 0॥થી 0॥। ઈંચ વરસાદ વરસી જતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જ્યારે ભારે પવનના લીધે અનેક મકાનોના છાપરા અને હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થયા હતાં. ગઈકાલે વરસેલા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુક્શાન થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
મોરબી
મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. બપોર 3 વાગ્યા પછી માળિયામાં ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. તો આ તરફ હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે. ટીકર રણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બાદ વરસાદ શરૂૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. જેના કારણે ગામમાં પાણી ભરાયા હતા.
લોઢવા
રાજ્યભરના માં માવઠાના પગલે લોઢવા તથા આજુબાજુ ના વિસ્તારમાં ગઈ સાંજથી હળવા ઝાપટાં થી શરૂૂ થયેલ વરસાદ બુધવારે બપોર બાદ 4 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડતાં ખેતરો માં ઉભા પાકમાં અતિ નુકસાન થયેલ છે.
જામ ખંભાળિયા
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને દોઢ ઇંચ સુધી વરસાદ વરસી જવા પામ્યો હતો.
ગઈકાલે બુધવારે સાંજથી ખંભાળિયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. આ વચ્ચે સાંજે સાતેક વાગ્યે ખંભાળિયા જોરદાર વરસાદી ઝાપટા વરસી જતા માર્ગ પણ પાણી ચાલી નીકળ્યા હતા.
આશરે અડધો કલાકના સમયગાળામાં ખંભાળિયામાં કુલ 32 મી.મી. પાણી પડી ગયું હતું. જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગત સાંજે મેઘરાજાએ પવનના ચોર સાથે ભારે ઝાપટા રૂૂપે 43 મી.મી. તેમજ કલ્યાણપુરમાં પણ 37 મી.મી. પાણી વરસાવી દીધું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલા, તા. 07-05-2025: સાવરકુંડલા તાલુકામાં સતત બીજા દિવસે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તાલુકાના પીઠવડી, વંડા, મોટા ભમોદરા, નેસડી, કરજાળા, ઓળીયા, બાઢડા વગેરે તમામ ગામોમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.
થાણાપીપળી ગામે બાળકી પર વૃક્ષ પડતા મોત
ભારે વરસાદ અને પવનના કારણે વંથલીના થાણાપીપળી ગામે પિતાપુત્રી વાડીએ હતા તે દરમિયાન 13 વર્ષની બાળકી ક્રિશા બાઈક પાસે ઉભી હતી ત્યારે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થઈ માથે પડતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.
રાજ્યમાં 11 મે સુધી એલર્ટ
ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રિય રહેતા વધુ 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 11 મે સુધી ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.