ગોંડલમાં અસરગ્રસ્તોની વહારે આવતા ધારાસભ્ય ગીતાબા
ગોંડલમાં ભારે વરસાદના કારણે તેની અસર આસપાસના ગામો તેમજ ગોંડલ શહેરમાં જોવા મળી હતી. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આ વિસ્તારો ખાલી કરાવાયા હતાં અને નિચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તાત્કાલીક કરવા સુચના આપી હતી તેમજ નિચાણ વાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગોંડલમાં વરસદથી પ્રભાવિત આશરે 200 જેટલા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો. તેમજ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ આ લોકો માટે જાતે રસોઈ બનાવી હતી અને 200થી વધુ લોકોને ભોજનની વ્યવસ્થા પણ કરાવી હતી. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે ગોંડલ શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. ગોંડલના જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ગોંડલમાં આશાપુરા સોસાયટીમાં એક મકાન ધરાશાયી થતાં ત્યાં રહેલા લોકોને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. તેમજ ગોંડલ નેશનલ હાઈવે પર ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક પરિવારોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.