જસદણ-વીંછિયામાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
જસદણ વિંછીયાના ધારાસભ્ય અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે અંદાજે રકમ રૂૂ. 4.49 કરોડના ખર્ચે નિર્માણ થનાર શ્રી વિંછીયા વિજ્ઞાન પ્રવાહ સરકારી માધ્યમિક શાળાનું તથા જસદણ તાલુકાના રણજીતગઢથી વીરપર સુધીના અંદાજીત 95 લાખના ખર્ચે તૈયાર થનાર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીએ પંક્તિથી પ્રારંભ કરી જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સુવિધાયુક્ત શિક્ષણ સેવાના નિર્માણ દ્વારા સાક્ષર ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના ધ્યેયને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે. જસદણ- વિંછીયા પંથકની દીકરીઓની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને તેમને નવીન તકો ઉપલબ્ધ બને તે માટે નજીકના વિસ્તારોમાં જ સરકારી હાઈસ્કૂલ બનાવી તેમને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ ગામોને પાકા રસ્તાથી જોડી પરિવહન માટે સુદ્રઢ વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. જે ગામોમાં કાચા રસ્તા છે, તેમાં નવા પાકા રસ્તાઓ તેમજ જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા છે તે તમામ રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે. જસદણ- વિંછીયા વિસ્તારમાં હાલમાં 106 ગામમાંથી 94 ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને બાકી ગામોમાં પણ તેની કામગીરી હાલ ચાલી રહી છે. વળી પીવાના પાણીની ઓગમેન્ટેશનની સ્કીમની કામગીરી પુરજોશમાં ચાલુ છે, જેનાથી થોડા જ સમયમાં તમામ લોકોને 70 ના બદલે 100 એમ એલ ડી પાણી મળતું થઈ જશે. વિસ્તારની 11 નાની સિંચાઈ યોજનાની તમામ કેનાલોના નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલુ છે.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યો ગોકળભાઈ, પ્રદીપભાઈ, રણજીતગઢના સરપંચ રાજુભાઈ, ઉપસરપંચ પ્રાગજીભાઈ, અગ્રણી ડોક્ટર ચિરાગભાઈ, વાઘજીભાઈ મેવાસીયા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.