પ્રહલાદ પ્લોટમાં બીજા માળે ગેલેરીમાંથી પટકાતાં નેપાળી આધેડનું મોત નીપજ્યું
- અગાઉ પણ સીડી પરથી પટકાયા ત્યારે બચી ગયા હતા : આ વખતે જીવલેણ ઇજા થઇ
શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને ખાણી-પીણીનો ધંધો કરતા નેપાળી પ્રૌઢનું બીજા માળે ગેલેરીમાંથી પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજયું છે.જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ પ્રહલાદ પ્લોટ શેરી નં.4માં રહેતા અને કરણસિંહજી મંદિર પાસે ખાણી-પીણીનો ધંધો કરતા માનસીંગ ધર્મબાહદુર ચંદ (ઉ.વ.50)નામના પ્રૌઢ ગત રાત્રે 10 વાગ્યે ઉજ્જમ ચેમ્બરમાં બીજા માળે પોતાના રૂમે હતા ત્યારે આ માળની વચ્ચેના ભાગે આવેલી ખૂલ્લી ગેલેરીમાંથી પટકાતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 108ના ઇએમટી દિપકભાઇએ મરણ જાહેર કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ આ પ્રૌઢ અગાઉ પણ આ રીતે સીડી પરથી પટકાયા ત્યારે ઇજા થઇ હતી જો કે ત્યારે બચી ગયા હતા.આ વખતે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.