સૌરાષ્ટ્રને તરબતર કરતા મેઘરાજા; હવે ખમૈયા કરવા વિનવણી
રાજ્યના 199 તાલુકામાં મેઘમહેર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા તબબતોળ, 1 થી 5॥ ઇંચ અનરાધાર
ગુજરાતમાં ગઇકાલે મેઘરાજાની મહેર યથાવત રહી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઉપર વધુ હેત વરસાવતા ખેડૂતોને હવે લીલા દુકાળનો ભય ઉભો થયો છે. અને મેઘરજાને ખમૈયા કરવા વિનવણી કરવા લાગ્યા છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામકંડોરણા-ઇડર 5॥ ઇંચ, ધોરાજી-જોડિયા-મુન્દ્રા 4॥, રાજકોટ-લાલપુર-જોડિયા 4 ઇંચ, જેતપુર-સોનગઢ-લાલપુર 3॥, ગોંડલ-કાલાવડ 3, જૂનાગઢ-દ્વારકા 2॥ અને ઉપલેટા તાલુકામાં 1॥ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 199 તાલુકામાં 0॥ થી 5॥ ઇંચ જેટલો વરસાદ વરસી જતા અત્યાર સુધી કાચા સોના સમાન વરસતા વરસાદે હવે આફત નોતરવાનુ શરૂ કર્યુ હોય તેમ ખેડૂતો વરાપની રાહ જોઇ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરેલા હોય ઉભો પાક બળી જવાની દેહશત ઉભી થઇ છે. જેના લીધે ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીગ કરી 1 થી 5॥ ઇંચ જેટલો વરસાદ વરસી દીધો હતો. જામકંડોરણા પંથકમાં ગઇકાલે 3 કલાકમાં 5॥ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ખેતરો અને રોડ રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા હતા. સતત વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.
ગોંડલ: ગોંડલમાં ગઇકાલ સવારથી જ મેઘાડંબર વચ્ચે ધીમીધારે વરસાદ વરસવો શરુ થતા રાટ સુધી માં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.દિવસભર વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. અને શહેર પાણી પાણી બન્યુ હતુ.અલબત ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોય નુકસાની નથી. વરસાદને કારણે વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ.
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ વરસાદની ગતિ ધીમી રહ્યા બાદ ગઈકાલે ગુરુવારે સવારથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા તેમજ ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં ગુરુવારે આખો દિવસ ભાણવડ તાલુકામાં મેઘ મહેર વરસતા બે ઈંચ (52 મી.મી.) પાણી પડી ગયું હતું. તે જ રીતે ખંભાળિયામાં પણ દિવસ દરમિયાન 13 મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે ખંભાળિયા તાલુકાના કોટા, જે.પી. દેવળીયા સહિતના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવેલા જોવા મળ્યા હતા.આ સાથે કલ્યાણપુર તાલુકામાં 3 મી.મી. પાણી વરસી ગયું હતું. ગઈકાલે દિવસ દરમિયાન ખંભાળિયામાં અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ત્રાસી ગયા હતા. આજે પણ દિવસ દરમિયાન વરસાદી વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. આજે સવારે 10 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 14 ઈંચ (348 મી.મી.), દ્વારકામાં 10 ઈંચ (254 મી.મી.), ભાણવડમાં સાડા નવ ઈંચ (241 મી.મી.) અને ખંભાળિયામાં સવા આઠ ઈંચ (214 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 10 ઈંચ (264 મી.મી.) થવા પામ્યો છે.
ઉપલેટા: ઉપલેટામાં છેલ્લા પાંચેક દિવસથી ચોમાસાની સિઝન સક્રિય થયેલ છે રોજના માટે સવારથી સાંજ સુધીમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયેલો રહે છે અને લોકો વરસાદી માહોલનો મિજાજ માણી રહ્યા છે આવી જ રીતે આજે બપોર દરમિયાન લગભગ બે કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ હોવાના સમાચાર મળી રહ્યા છે.
જૂનાગઢ: જુનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વંથળીમાં સૌથી વધુ 2,09, ઇંચ વરસાદ નોંધાયો છે. માણાવદરમાં 2.08 ઇંચ, કેશોદમાં 2,05. ઇંચ અને જુનાગઢ શહેર તેમજ ગ્રામ્યમાં 2,03, ઇંચ વરસાદ થયો છે. ગીરનાર પર્વત વિસ્તારમાં 3, ઇંચ વરસાદ નોંધાયો છે. પર્વત પરથી વહેતા ઝરણાઓએ પર્યટકોને આકર્ષ્યા છે.
કાલવાડ: કાલાવડના ગ્રામ્ય પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી એન્ટ્રી કરી કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, ધુન ધોરાજી, ઉમરાળા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારથી વાદળીયું વાતાવરણ અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો સરેરાશ 3 ઈંચ કરતા વધુ વરસાદ પડયો વરસાદી પાણી જાહેરમાર્ગોમાં ફરી વળ્યાં સ્થાનિક નદીમાં નવા નીર આવી ગયા સતત વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમી માંથી રાહત મળી.
ભાવનગર: ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. ભાવનગર શહેરમાં સુધીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જિલ્લાના ત્રણ તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 25 મી.મી. ,ઉમરાળામાં 19 મી.મી. ,ભાવનગર શહેરમાં 19 મી.મી.,ઘોઘા 5 મી.મી. ,શિહોર 23મી.મી., પાલીતાણા 4 મી.મી. ,તળાજા 1મી.મી.અને મહુવામાં 25 મી.મી. વરસાદ નોંધાયો છે.
સલાયા: સલાયામાં બે દિવસથી વરસાદે વીરામ લીધો હતો.વાદળો ઘેરાયેલા રહેતા હતા પણ બહુ વરસાદ વરસતો ન હતો.આજે સવારે પણ તડકો નીકળ્યો હતો પણ બપોર બાદ 4 વાગ્યાથી વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે પોણો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે પણ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. હાલ સલાયામાં મોહરમ ના તહેવારો ચાલી રહ્યા છે. જેમાં ઠેર ઠેર ન્યાઝના કાર્યક્રમો થઈ રહ્યા છે.