અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
અમદાવાદના ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતાં. જેમાં ઘણાં લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી. જેથી આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ બાદ ફરીથી દબાણ ન થાય એ માટે કોર્પોરેશન દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.