સોની બજારની 500 દુકાનોમાં પોલીસનું મેગા ચેકિંગ
1 લાખથી વધુ બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશનની તપાસ માટે એસઓજી-પેરોલ ફર્લો અને એ અને બી ડિવિઝન પોલીસનું ઓપરેશન
15 દિવસના ચેકિંગમાં 100થી વધુ સોની વેપારી સામે ગુના નોંધાયા
બંગાળમાં વર્તમાન પરિસ્થિતિને લઈને બંગાળથી ઘણા બધા રોહિંગીયા મુસ્લિમ ભારતમાં ઘુસ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જ્યા ંસૌથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે તેવી સોની બજારમાં એસઓજી, પેરોલ ફર્લો અને સ્થાનિક એડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી મેગા ચેકીંગ હાથ ધર્યુ હતું. આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસે હાથ ધરેલા આ ચેકીંગમાં નિયમનો ભંગ કરી બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશન બાબતે બે દરકારી દાખવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. સવારથી એસઓજીની ટીમે હાથ ધરેલા ચેકીંગમાં સોની બજારની 500થી વધુદુકાનોમાં ચેકીંગ કરી નિયમનો ભંગ કરનાર 25થી વધુ વેપારીઓ સામે ગુના દાખલ કર્યા છે.
રાજકોટમાં ગયા વર્ષે સોની બજારમાંથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ બંગાળી કારીગરોને એટીએસે ઝડપી લીધા હતાં.
આતંકી પ્રવૃતિ સાથે જોડાઈ રાજકોટમાં રહી મુળ બંગાળના આ ત્રણ શખ્સો અલકાયદાના મોડ્યુલ પર કામ કરતા હતાં. રાજકોટના સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ પકડાયાના વાતથી રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટની સોની બજારમાં એક લાખથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે. આ બનાવ બાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલીક એસોસીએશન સાથે બેઠક કરી બંગાળીકારીગરોના રજીસ્ટ્રેશનને ફરજિયાત કરતું જાહેરનામું બહાર પાડીસોની બજારના વેપારીઓ દ્વારા પોતાના દુકાને કે શોરૂમમાં કામ કરતા આ બંગાળી કારીગરોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવી તેના આધાર કાર્ડ સહિતની માહિતી રજૂ કરવા માટેનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરના જાહેરનામા છતાં સોનીબજારમાં કામ કરતા અનેક બંગાળી કારીગરોનું હજી સુધી રજીસ્ટ્રેશન થયું નથી. આવા બંગાળી કારીગરોને રહેવા મકાન, ઓફિસ કે, પોતાને ત્યાં નોકરીએ રાખતા માલીકો રજીસ્ટ્રેશનમાં બેદરકાર હોય આજે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી એસઓજીના પીઆઈ ડી.સી. સાકરિયા અનેતેમની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી સોની બજારની 500થી વધુ દુકાનોમાં ચેકીંગ કર્યુ હતું અને જાહેરનામાનો ભંગ કરી બંગાળી કારીગરોને નોકરીએ રાખી કે મકાન ભાડે રાખી કે તેની નોંધ નહીં કરાવનાર 25 જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
એસઓજી સાથે પેરોલ ફર્લોસ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ આ ડ્રાઈવમાં જોડાઈ હતી તેમજ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્સન હેઠળ ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસિયા પણ આ ડ્રાઈવમાં જોડાયા હતાં. પોલીસ ચેકીંગ દરમિયાન અત્યાર સુધીમાં 300થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા હતાં. જેનું રજીસ્ટ્રેશન જ થયું નથી. જેથી આવા વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં સોની બજારમાં સૌથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે. અને ભૂતકાળમાં આવા બંગાળી કારીગરો કે જેમનું રજીસ્ટ્રેશન થયું ન હોય તેવા કારીગરો ચોરી તેમજ અન્ય ગુન્હામાં પોલીસ ચોપડે ચડ્યા બાદ બંગાળ નાશી ગયા હોય અને તેમની કોઈ માહિતી ન હોવાથી પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ ગઈ હોય જેથી આગામી દિવસોમાં આવા બંગાળી કારીગરો ગુનામાં સંડોવાય તો તરત જ તેની માહીતી મળી જાય તેથી આવા બંગાળી કારીગરોનું સીટીઝન પોર્ટલ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.
વેપારીઓએ સિટિઝન પોર્ટલ પર કારીગરોનું રજિસ્ટ્રેશન કરાવ્યું જ નથી: એસીપી ભરત બસિયા
ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ એ ઔદ્યોગિક એકમોનું હબ છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો કામ કરવા માટે આવતા હોય છે. જેમાંના અમુક અગાઉ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચૂક્યા છે. આ તમામ કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂૂરી છે. જે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેથી રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા જાહેરનામા ભંગ અંગેની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી હતી. જેમાં જે વેપારીઓએ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન પોલીસમાં નથી કરાવેલું તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
આતંકી પ્રવૃતિને ડામવા પોલીસનું સર્ચ ઓપરેશન
આતંકી પ્રવૃતિને ડામવા માટે આજે એસઓજીએ સોની બજારમાં સર્ચ ઓપરેશન કર્યુ હોય ત્યારે અનેક કારીગરો રજીસ્ટ્રેશન વગરના મળી આવ્યા હોય તેના માલીક સામે કાર્યવાહી સાથે આવા બંગાળી કારીગરોની માહિતી પોલીસે એકત્ર કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સોની બજારમાં એટીએસની ટીમે દરોડો પાડી અલકાયદા માટેકામ કરતા ત્રણ બંગાળી શખ્સોને ઝડપી લીધા હતાં. આ યુવાનો અલકાયદા અને જિહાદ માટે ફંડ એકત્ર કરતા હોવાનું જે તે વખતે જાણવા મળ્યું હતું. અલકાયદાની તન્જીમમાં જોડાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યુવાનોને ઉશ્કેરતા હતાં. અને ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ એટીએસે સોની બજારમાંથી અબ્દુલ શુકરઅલી, અમન મલીક અને સૈફ નવાઝને ઝડપી લીધા હતાં. આ પ્રકરણ બાદ આગામી દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે હેતુસર અને આતંકવાદી પ્રવૃતિ રોકવા માટે મેગા સર્ચ ઓપરેશન અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.