પુત્રીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાનું મોત; તબીબી બેદરકારીનો આરોપ
શહેરમાં તોપખાના વિસ્તારમાં રહેતી પ્રસુતાએ ઝનાના હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારજનોએ તબીબી બેદરકારીને કારણે પ્રસુતાનું મોત નીપજ્યાનો આક્ષેપ કરતા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ માસુમ પુત્રીએ જન્મ બાદ માતાનું મોઢુ પણ જોયું ન હતું તે પહેલા જ માતાનું મોત નીપજ્તા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર તોપખાના હરિજન વાસમાં રહેતી વનીતા જીગ્નેશભાઇ ઘાવરી (ઉ.વ.25)નામની પ્રસુતાને પ્રસુતાની પીડા ઉપડતા ગત ગુરુવારે જનાના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા તેની નોર્મલ પ્રસુતી કરવાનું કહ્યું હતુ જે મુજબ આજે સવારે આઠ વાગ્યના અરસામાં તેણી પ્રસુતિ કરતા તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, બાળકીના જન્મ બાદ તુરંત જ પ્રસુતાનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ નર્સિંગ સ્ટાફ અને તબીબોની બેદરકારીને કારણે વનીતાબેનનું મોત નીપજ્યાનો આક્ષેપ ક્રયો હતો. જેથી પોલીસે હોસ્પિટલે દોડી જઇ પ્રસુતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વનીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેનું માવતર વિસાવદર છે. તેના પતી જિગ્નેશભાઇ સાફઇ કામદાર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવાર જનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.