સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં ભીષણ આગ, કરોડો રૂપિયાનું નુકસાન
મેજર કોલ જાહેર થતા અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડસરથી ફાયર ફાઇટરો દોડયા, શોર્ટ સર્કિટની આશંકા
કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યુ કે, આશરે સાડા આઠ વાગ્યા આસપાસ મેઝર કોલ હતો. આ ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ અને પેકેજીંગનું કામ થતું હોય છે. દિવસ દરિમયાન અહીં પ્રોડક્શન અને પેકેજીંગનું કાર્ય થાય છે. મોટાભાગે રાતની શિફ્ટ હોતી નથી. લગભગ સાડા અગિયાર આસપાસ મોટાભાગે આગ કાબુ આવી ગઇ હતી.
પ્રાથમિક તપાસમાં આશરે ત્રણેક કરોડનો સામાન સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારને લઇને મોટી માત્રામા સામાન તૈયાર કરાયો હતો. અહીંથી સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ સામાન મોકલવામાં આવતો હોય છે. સ્ટોર કિપરની પ્રાથમિક પૂછતાછમાં એક લાઇટ સતત ચાલુ બંધ થયા કરતી હતી. જેથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન છે, પરંતુ એફએસએલ રીપોર્ટ પછી જ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં સ્થિતિ કાબુમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી.
આગના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. હાલના તબક્કે કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તેમ છતાં નાઇટ શિફ્ટમાં કોણ કોણ નોકરીએ હતું સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરી બંધ હતી અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.