લક્ષ્મીનગરમાં નમકીનના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાન
મધરાત્રે વિરલ નમકીન (શ્રીરામ ગૃહ ઉદ્યોગ)માં આગ ભભૂકી ઉઠતા ઘુમાડાના ગોટેગોટા : ફાયર બ્રિગેડની પાંચ ટીમોએ પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો
શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ઉમાકાન્ત ઉદ્યોગનગરમાં આવેલા નમકીનના કારખાનામાં મધરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મોડીરાત્રે વિરલ નમકીન (શ્રી રામ ગૃહ ઉદ્યોગ)માં આગ લાગતા ઘુમાડાના ગોટેગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાઇયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કારખાનામાં રહેલો નમકીનનો જથ્થો અને રો મટીરીયલ્સ બળીને ખાખ જઇ જતા લાખોનુ નુકસાન થયાનું જાણવા મળ્યુ છે. જો કે, સદ્નસીબે આગમાં કોઇ જાન હાની થઇ ન હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ઉમાકાંત ઉદ્યોગનગર શેરી નંબર-3 માં આવેલા વિરલ નમકીન (શ્રીરામ ગૃહ ઉદ્યોગ) નામના કારખાનામાં મોડી રાત્રે 1.30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા મવડી ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર સાથે રવાના થયો હતો. અહીં આવી જોતા આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હોય બાદમાં મુખ્ય ફાયર સ્ટેશન, કાલાવડ રોડ અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર મગાવી કુલ પાંચ ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
નમકીનના કારખાનામાં લાગેલી આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. કારખાનામાં 17 એલપીજી સિલિન્ડર હતા જે ફાયરના સ્ટાફે બહાર કાઢી લીધા હતાં. આગમાં ફરસાણ મીઠાઈ તથા અન્ય મટીરીયલ સળગી ગયું હતું. આગ લાગ્યાની ઘટના બનતા અહીં કારખાનેદાર વિમલ સંજયભાઈ ટાંકનો પુત્ર પણ દોડી આવ્યો હતો. કારખાનામાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. તેમજ આગની આ ઘટનાથી થયેલ નુકસાનીનો ચોક્કસ આંકડો પણ જાણી શકાયો નથી પરંતુ આગમાં લાખોનુ નુકસાન થાયનું અનુમાન સેવાઇ રહ્યું છે.
