રેલવેની અનેક છૂપી મિલકતો નીકળી, 33 કરોડના વેરાની ઉઘરાણી કરતું મનપા
- રેલવે વિભાગના બાકી 14 કરોડના વેરા સામે અમુક મિલકતો શોધ્યા બાદ સમાવેશ થતાં આંકડો ત્રણ ગણો વધી ગયો
મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ રિકરી ઝુંબેશ શખ્ત બનાવવામાં આવી છે. વર્ષ પૂરુ થવાને હવે ફક્ત પાંચ દિવસ બાકી હોય લક્ષ્યાંક પુર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સરકારી મિલ્કતોના બાકીવેરાની ઉઘરાણી કરવાના આદેશ કર્યા બાદ રેલવે વિભાગના 14 કરોડ રૂપિયા વેરાપેટે બાકી હોય આ બાબતે અમુક છુપી મિલ્કતો શોધી કાઢવાની સુચના આપતા અનેક મિલ્કતો મળી આવી હતી. જેના કારણે 14 કરોડના સ્થાને રેલવે વિભાગના વેરાની રકમ 33 કરોડે પહોંચી ગઈ છે. અને તેના માટે વિભાગને છેલ્લી નોટીસ આપવામાં આવી છે.
મનપાના વેરાવિભાગનો 375 કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવામાં હવે ફક્ત પાંચ દિવસ સમય બાકી છે. આજ સુધીમાં વેરાવિભાગની આવક 360 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. છતાં મોટાભાગની સરકારી મિલ્કતોનો વેરો બાકી હોવાથી અવાર નવાર વિભાગોને નોટીસો આપાવમાં આવી છે. જે પૈકી રેલવે વિભાગના બાકી રહેલા 14 કરોડ માટે પણ નોટીસ આપવામાં આવેલ પરંતુ શહેરમાં રેલવેવિભાગની પણ અનેક મિલ્કતો હૈયાત છે પરંતુ વેરાબીલમાં ઉલ્લેખ નથી તેવું ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનરે રેલવે વિભાગની છુપી મિલ્કત શોધી કાઢવાની સુચના આપી હતી. જેના કારણે અનેક અલગ અલગ સ્થળે આવેલ ઓફિસો સહિતને મિલ્કતો શોધી કાઢવામાં આવી છે. અને તેની આકરણી કરતા હવે 14 કરોડના સ્થાને રેલવે વિભાગની અલગ અલગ મિલ્કતનો મિલ્કતવેરો 33 કરોડે પહોંચી ગયો છે. જેની ઉઘરાણી માટે વેરાવિભાગે છેલ્લી નોટીસ આપી છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ સરકારી મિલ્કતોનો વેરો સમયસર ભરપાઈ થઈ જશે તો આ વખતે લક્ષ્યાંક પાર થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં છેલ્લા પાંચ દિવસ બાકી હોવાથી વેરાવિભાગની અલગ અલગ ટીમો દ્વારા ત્રણેય ઝોનમાં પ્રથમ કોમર્શીયલ અને ત્યાર બાદ રહેણાકની મિલ્કતો પૈકી વેરો બાકી હોય તેવા 25 હજારથી 1 લાખ સુધીની રકમ માટે સીલીંગ તેમજ જપ્તી સહિતની કાર્યવાહી પુર જોશમાં શરૂ કરવામાં આવી છે.
દરરોજ 25થી વધુ મિલ્કત સીલ કરી જપ્તીની નોટીસ આપવામાં આવી રહી છે. સાથો સાથ દરરોજ સ્થળ ઉપર અડધા કરોડથી વધુ વેરાવસુલાત કરાઈ રહી છે. આથી વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારી મિલ્કતનો વેરો ભરપાઈ થઈ જવાની સંભાવના પણ જોવાઈ રહી છે. છતાં બાકીના કરદાતાઓ દ્વારા લક્ષ્યાંક પૂર્ણ કરી દેવામાં અઆવે તેવું પણ લાગી રહ્યું છે. હાલ રેલવે વિભાગની અનેક બાકી રહી ગયેલી છુપી મિલ્કતો બહાર આવતા તેના વેરાપેટે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે.